રોમનો
૫ તેથી, હવે શ્રદ્ધાને લીધે આપણે નેક ઠર્યા છીએ તો, ચાલો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સાથે શાંતિનો આનંદ માણીએ;* ૨ ઈસુ પર મૂકેલી શ્રદ્ધાને લીધે આપણા માટે અપાર કૃપા મેળવવાનો માર્ગ ખોલવામાં આવ્યો, જે આપણે હમણાં મેળવી રહ્યા છીએ; અને ચાલો ઈશ્વરનો મહિમા પામવાની આશાને લીધે આનંદ કરીએ. ૩ એટલું જ નહિ, પણ સંકટોમાં આનંદ કરીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે સંકટથી ધીરજ ઉત્પન્ન થાય છે; ૪ ધીરજથી ઈશ્વરની મંજૂરી મળે છે; અને એ મંજૂરી આશા આપે છે ૫ અને આશા આપણને નિરાશ કરતી નથી, કેમ કે આપણને આપવામાં આવેલી પવિત્ર શક્તિ દ્વારા ઈશ્વર માટેનો પ્રેમ આપણા હૃદયોમાં રેડવામાં આવ્યો છે.
૬ કેમ કે આપણે હજુ કમજોર હતા ત્યારે, નક્કી કરેલા સમયે ઈશ્વર-વિરોધી લોકો માટે ખ્રિસ્ત મરણ પામ્યા. ૭ નેક માણસ માટે ભાગ્યે જ કોઈ મરે; કદાચ સારા માણસ માટે કોઈ મરવા તૈયાર થાય પણ ખરું. ૮ પરંતુ, ઈશ્વરે આપણા માટે પોતાનો પ્રેમ આ રીતે બતાવ્યો: આપણે હજુ પાપી હતા ત્યારે, ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા. ૯ તો પછી, આપણે ખ્રિસ્તના લોહીથી નેક ઠર્યા હોવાથી ઈશ્વરના કોપથી બચીશું એમાં કોઈ શંકા નથી. ૧૦ આપણે ઈશ્વરના દુશ્મનો હતા ત્યારે, તેમના દીકરાના મરણથી તેમની સાથે સુલેહ કરી; હવે જ્યારે આપણી સુલેહ થઈ છે, ત્યારે તેમના જીવનને લીધે આપણે બચીશું એમાં કોઈ શંકા નથી. ૧૧ એટલું જ નહિ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ, જેમના દ્વારા ઈશ્વર સાથે આપણી સુલેહ થઈ છે.
૧૨ એટલા માટે, એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું. ૧૩ નિયમશાસ્ત્ર અપાયા પહેલાં આ દુનિયામાં પાપ હતું ખરું, પણ જ્યારે નિયમ ન હોય ત્યારે કોઈના પર પાપનો દોષ લગાડવામાં આવતો નથી. ૧૪ તોપણ, આદમથી લઈને મુસા સુધી મરણે એવા લોકો ઉપર પણ રાજ કર્યું, જેઓએ આદમ જેવાં પાપ કર્યાં ન હતાં; આદમ અમુક રીતે તેમના જેવો હતો, જે આવવાના હતા.
૧૫ પરંતુ, જેવું પાપ છે એવી ભેટ નથી. કેમ કે જો એક માણસના પાપથી ઘણા મરણ પામ્યા, તો એ કરતાં અનેક ગણો લાભ ઘણા લોકોને ઈશ્વરની અપાર કૃપા અને તેમની ભેટથી એટલે કે એક માણસ, ઈસુ ખ્રિસ્તની અપાર કૃપાથી થયો! ૧૬ વધુમાં, એક માણસના પાપથી આવેલા પરિણામ જેવું ભેટનું પરિણામ નથી. કેમ કે એક પાપનો ચુકાદો સજા હતી, પણ અનેક પાપ પછી મળેલી ભેટથી ઘણા નેક ગણાયા. ૧૭ એક માણસના પાપને લીધે મરણે રાજા તરીકે રાજ કર્યું. તો પછી, એમાં કોઈ શંકા નથી કે જેઓ અપાર કૃપા અને નેક ગણાવાની ભેટ ભરપૂર રીતે મેળવે છે, તેઓ એક માણસ એટલે કે, ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવશે અને રાજાઓ તરીકે રાજ કરશે!
૧૮ એટલે, જેમ એક પાપના પરિણામે દરેક પ્રકારના માણસોને સજા મળી, તેમ એક નેક કાર્યથી દરેક પ્રકારના માણસોને જીવન માટે નેક ગણવામાં આવે છે. ૧૯ જેમ એક માણસે આજ્ઞા ન માની તેથી ઘણા લોકો પાપી ગણાયા, તેમ એક માણસે આજ્ઞા માની તેથી ઘણા લોકો નેક ગણાશે. ૨૦ માણસો ઘણાં પાપ કરે છે, એ જોઈ શકાય માટે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું. પરંતુ, જ્યારે પાપમાં વધારો થયો, ત્યારે અપાર કૃપામાં પણ અનેક ગણો વધારો થયો. ૨૧ કયા હેતુ માટે? એ માટે કે જેમ મરણ સાથે પાપે રાજા તરીકે રાજ કર્યું, તેમ અપાર કૃપા પણ નેકી દ્વારા રાજા તરીકે રાજ કરે; એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હંમેશ માટેના જીવન તરફ દોરી જાય છે.