શનિવાર, ડિસેમ્બર ૬
“બુદ્ધિથી ઘર બંધાય છે.”—નીતિ. ૨૪:૩.
જીવનની દોડમાં દોડતા રહેવા જરૂરી છે કે આપણે સૌથી વધારે પ્રેમ યહોવા અને ઈસુને કરીએ, કુટુંબીજનો કરતાં પણ વધારે પ્રેમ કરીએ. (માથ. ૧૦:૩૭) જોકે, એનો અર્થ એ નથી કે આપણે કુટુંબની જવાબદારીઓથી હાથ ઊંચા કરી દઈએ, જાણે એ યહોવા અને ઈસુને ખુશ કરવામાં આડે આવતી હોય. એને બદલે તેઓને ખુશ કરવા જરૂરી છે કે આપણે પોતાની જવાબદારીઓ નિભાવીએ. (૧ તિમો. ૫:૪, ૮) એમ કરવાથી વધારે ખુશ રહી શકીશું. યહોવા જાણે છે કે જ્યારે કુટુંબમાં દરેક જણ પોતાની જવાબદારી નિભાવે છે, ત્યારે કુટુંબ ખુશખુશાલ બને છે. જેમ કે, જ્યારે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે અને માન આપે છે, જ્યારે મમ્મી-પપ્પા બાળકોને પ્રેમ કરે છે અને તાલીમ આપે છે તેમજ જ્યારે બાળકો મમ્મી-પપ્પાનું કહ્યું કરે છે, ત્યારે કુટુંબમાં ખુશીઓ આવે છે. (એફે. ૫:૩૩; ૬:૧, ૪) ભરોસો રાખો કે બાઇબલમાં પતિ-પત્ની, મમ્મી-પપ્પા અને બાળકો માટે જે સરસ સલાહ આપવામાં આવી છે, એ પાળવાથી હંમેશાં ભલું થાય છે. આજે મોટા ભાગના લોકો પોતાને જે ઠીક લાગે એ કરે છે અથવા આજુબાજુના લોકો જે કરતા હોય એ કરે છે. અથવા તેઓ મોટા મોટા સલાહકારોની વાત માને છે. પણ તેઓનું આંધળું અનુકરણ કરવાને બદલે બાઇબલની સલાહ માનો. બાઇબલ આધારિત સાહિત્યનો ઉપયોગ કરો. એમાં સરસ રીતે સમજાવવામાં આવે છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા. w૨૩.૦૮ ૨૮ ¶૬-૭
રવિવાર, ડિસેમ્બર ૭
“તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.”—યહો. ૧:૮.
ખ્રિસ્તી બહેનોએ અમુક આવડતો કેળવવી જોઈએ. જ્યારે એક છોકરી બાળપણથી અમુક આવડતો કેળવે છે, ત્યારે એ તેને આખું જીવન કામ લાગે છે. જેમ કે, સારી રીતે વાંચતાં-લખતાં શીખો. અમુક સમાજમાં સ્ત્રીઓને વાંચતાં-લખતાં શીખવવામાં આવતું નથી, કેમ કે એ સમાજના લોકોને લાગે છે કે સ્ત્રીઓને એની જરૂર નથી. પણ યહોવાના દરેક ભક્તને એ આવડતું હોવું જોઈએ. (૧ તિમો. ૪:૧૩) એટલે ભલે ગમે એવી અડચણ આવે, પણ વાંચતાં-લખતાં શીખવાનું છોડશો નહિ. એમ કરવાનું ચાલુ રાખો. એનાથી કેવા ફાયદા થશે? તમે કદાચ એક સારી નોકરી મેળવી શકશો, જેનાથી તમારું ગુજરાન ચાલે. તમે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને બીજાઓને સારી રીતે શીખવી શકશો. સૌથી મોટો ફાયદો, જેમ જેમ તમે બાઇબલ વાંચતા જશો અને મનન કરતા જશો, તેમ તેમ યહોવા સાથેનો તમારો સંબંધ પાકો થતો જશે.—૧ તિમો. ૪:૧૫. w૨૩.૧૨ ૨૦ ¶૧૦-૧૧
સોમવાર, ડિસેમ્બર ૮
“યહોવા જાણે છે કે તેમના ભક્તોને કસોટીમાંથી કેવી રીતે છોડાવવા.”—૨ પિત. ૨:૯.
લાલચોનો સામનો કરવા યહોવા પાસે મદદ માંગીએ. આપણે ડગલેને પગલે ભૂલો કરીએ છીએ, એટલે લાલચો સામે લડતા રહેવું પડે છે. એટલું જ નહિ, આપણાં મનમાં ગંદા વિચારો ભરવા શેતાન રાત-દિવસ એક કરી રહ્યો છે. એ માટે તે ઘણી વાર મનોરંજનનો ઉપયોગ કરે છે, જેમાં ગંદાં કામો બતાવ્યાં હોય. એવું મનોરંજન આપણાં મનમાં ખરાબ વિચારો ભરી દે છે અને એનાથી આપણે યહોવાની નજરમાં અશુદ્ધ થઈ શકીએ છીએ. આગળ જતાં કદાચ આપણે મોટું પાપ કરી બેસીએ. (માર્ક ૭:૨૧-૨૩; યાકૂ. ૧:૧૪, ૧૫) લાલચોનો સામનો કરવા આપણને ખરેખર યહોવાની મદદની જરૂર છે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવાનું શીખવ્યું ત્યારે, તેમણે આ વિનંતી કરવાનું પણ કહ્યું: “અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ અને શેતાનથી અમને બચાવો.” (માથ. ૬:૧૩) યહોવા આપણને મદદ કરવા માંગે છે, જોકે આપણે પણ પ્રાર્થનામાં તેમની પાસે મદદ માંગવી જોઈએ. પછી એ પ્રમાણે પગલાં ભરવાં જોઈએ. w૨૩.૦૫ ૬-૭ ¶૧૫-૧૭