મંગળવાર, ફેબ્રુઆરી ૧૭
‘પછી શાઉલ ઊઠ્યો અને તેણે બાપ્તિસ્મા લીધું.’—પ્રે.કા. ૯:૧૮.
બાપ્તિસ્માનું પગલું ભરવા શાઉલને શાનાથી મદદ મળી? જ્યારે સ્વર્ગમાંથી ઈસુએ શાઉલ સાથે વાત કરી, ત્યારે ઝળહળતા પ્રકાશને લીધે તે આંધળા થઈ ગયા. (પ્રે.કા. ૯:૩-૯) ત્રણ દિવસ સુધી તેમણે ઉપવાસ કર્યા. હાલમાં બનેલા બનાવ પર તેમણે ચોક્કસ મનન કર્યું હશે. શાઉલને પાકી ખાતરી થઈ ગઈ કે ઈસુ જ મસીહ છે અને તેમના શિષ્યો સાચી ભક્તિ કરે છે. શાઉલના દાખલામાંથી આપણને ઘણું શીખવા મળે છે. ઘમંડ અથવા માણસોના ડરને લીધે તે બાપ્તિસ્મા લેવામાં પાછી પાની કરી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. પોતાની સતાવણી થશે એ વાત જાણતા હોવા છતાં તે ખ્રિસ્તી બનવા માંગતા હતા. (પ્રે.કા. ૯:૧૫, ૧૬; ૨૦:૨૨, ૨૩) બાપ્તિસ્મા પછી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. (૨ કોરીં. ૪:૭-૧૦) બાપ્તિસ્મા લઈને તમે યહોવાના સાક્ષી બનો એ પછી કદાચ તમારી શ્રદ્ધાની કસોટી થાય અથવા તમને સતાવવામાં આવે. પણ તમે એકલા નથી. ભરોસો રાખજો કે યહોવા અને ઈસુ ખ્રિસ્ત તમને કસોટીઓનો સામનો કરવા અને વફાદાર રહેવા ચોક્કસ મદદ કરશે.—ફિલિ. ૪:૧૩. w૨૫.૦૩ ૪ ¶૮-૯
બુધવાર, ફેબ્રુઆરી ૧૮
“હું કોઈ ધ્યેય વગર દોડતો નથી.”—૧ કોરીં. ૯:૨૬.
બાઇબલ વાંચવાનો ધ્યેય રાખવો સારું કહેવાય. પણ જો બાઇબલ વાંચનથી ફાયદો મેળવવા માંગતા હોઈએ, તો કંઈક વધારે કરવાની જરૂર છે. આ દાખલાનો વિચાર કરો: ફૂલછોડ માટે પાણી જરૂરી છે. પણ જો થોડા જ સમયમાં મુશળધાર વરસાદ પડે, તો શું થશે? બધે પાણી પાણી થઈ જશે. પણ પાણી જમીનમાં ઊંડે નહિ ઊતરે અને ફૂલછોડને વરસાદના પાણીનો ફાયદો નહિ થાય. પણ જ્યારે વરસાદ ધીરે ધીરે પડે છે, ત્યારે એ પાણી જમીનમાં ઊંડે ઊતરે છે અને એનાથી ફૂલછોડનો વિકાસ થાય છે. એવી જ રીતે, આપણે ઉતાવળે બાઇબલ વાંચવું ન જોઈએ. એમ કરીશું તો બાઇબલની વાતો દિલમાં ઊંડે ઊતરશે નહિ. એનો અર્થ થાય કે શીખેલી વાતોને યાદ રાખી નહિ શકીએ અને એને જીવનમાં લાગુ પાડી નહિ શકીએ. (યાકૂ. ૧:૨૪) શું તમને લાગે છે કે અમુક વાર તમે ફટાફટ બાઇબલ વાંચો છો? જો એમ હોય, તો શું કરી શકો? ધીરે ધીરે બાઇબલ વાંચો. આમ બાઇબલ વાંચતી વખતે અથવા વાંચી લીધા પછી એના પર મનન કરી શકશો. તમે કદાચ અભ્યાસ માટે થોડો વધારે સમય લેવાનું વિચારો, જેથી અભ્યાસ દરમિયાન મનન કરી શકો. w૨૪.૦૯ ૪ ¶૭-૯
ગુરુવાર, ફેબ્રુઆરી ૧૯
“જેઓ તમારામાં આગેવાની લે છે, તેઓનું કહેવું માનો.”—હિબ્રૂ. ૧૩:૧૭.
કોઈ માર્ગદર્શન મળે ત્યારે વડીલો એને ધ્યાનથી વાંચે અને એ પ્રમાણે કરવાની પૂરેપૂરી કોશિશ કરે. વડીલોને જણાવવામાં આવે છે કે સભાના ભાગ કઈ રીતે લેવા અને સભામાં કઈ રીતે પ્રાર્થના કરાવવી. તેઓને એ પણ જણાવવામાં આવે છે કે ખ્રિસ્તનાં ઘેટાં, એટલે કે ભાઈ-બહેનોની સંભાળ કઈ રીતે રાખવી. જ્યારે વડીલો સંગઠન તરફથી મળતું માર્ગદર્શન પાળે છે, ત્યારે ભાઈ-બહેનો યહોવાનો પ્રેમ અને હૂંફ અનુભવી શકે છે. વડીલો પાસેથી કોઈ માર્ગદર્શન મળે ત્યારે એને રાજીખુશીથી પાળવું જોઈએ. એમ કરીશું તો આગેવાની લેતા ભાઈઓ પોતાનું કામ સહેલાઈથી કરી શકશે. બાઇબલમાં જણાવ્યું છે કે આપણે એ ભાઈઓનું કહેવું માનીએ અને તેઓને આધીન રહીએ. (હિબ્રૂ. ૧૩:૭, ૧૭) પણ એમ કરવું અમુક વાર અઘરું બની શકે છે. શા માટે? કેમ કે એ ભાઈઓમાં પણ અમુક નબળાઈઓ છે. પણ તેઓના સારા ગુણોને બદલે તેઓની ખામીઓ પર જ ધ્યાન આપીશું તો, એ તો આપણા દુશ્મનોને સાથ આપવા બરાબર છે. કઈ રીતે? જો વડીલોની ખામીઓ પર જ ધ્યાન આપીશું, તો સંગઠનમાં પણ ખામીઓ જ દેખાશે અને સંગઠન પરથી આપણો ભરોસો ઊઠી જશે. w૨૪.૦૪ ૧૦ ¶૧૧-૧૨