બુધવાર, માર્ચ ૨૭
‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો.’—માથ. ૬:૩૩.
ઈસુના મરણ પછી શિષ્યો બહુ દુઃખી હતા. તેઓએ પોતાનો જિગરી દોસ્ત ગુમાવ્યો હતો. એવું લાગે છે કે તેઓએ પોતાની આશા પણ ગુમાવી દીધી હતી. (લૂક ૨૪:૧૭-૨૧) પણ ઈસુ જીવતા થયા પછી શિષ્યોને મળ્યા. ખરેખર શિષ્યોની ખુશીનો પાર નહિ હોય. ઈસુએ તેઓને સમજાવ્યું કે તેમના બલિદાનથી કઈ રીતે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ. તેમણે તેઓને મહત્ત્વનું કામ પણ સોંપ્યું. (લૂક ૨૪:૨૬, ૨૭, ૪૫-૪૮) ઈસુ સ્વર્ગમાં ગયા, એ સમય સુધીમાં શિષ્યોનાં દુઃખનાં આંસુ ખુશીઓમાં ફેરવાઈ ગયાં હતાં. તેઓ ખુશ હતા કે ઈસુ જીવે છે. તેઓ જાણતા હતા કે એ મહત્ત્વનું કામ પૂરું કરવા ઈસુ તેઓને મદદ કરશે. એ ખુશી અને આનંદને લીધે તેઓ યહોવાની સ્તુતિ કરતા રહ્યા. (લૂક ૨૪:૫૨, ૫૩; પ્રે.કા. ૫:૪૨) ઈસુના શિષ્યોના પગલે ચાલવા આપણે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખવું જોઈએ. જો આપણે એમ કરીશું અને વફાદારીથી તેમની ભક્તિ કરીશું, તો યહોવાએ પણ વચન આપ્યું છે કે તે પુષ્કળ આશીર્વાદ આપશે.—નીતિ. ૧૦:૨૨. w૨૩.૦૧ ૩૦-૩૧ ¶૧૫-૧૬
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન: (દિવસના બનાવો: નીસાન ૧૬) માર્ક ૧૬:૨-૮
ગુરુવાર, માર્ચ ૨૮
“પાછો ધૂળમાં ભળી જઈશ.”—ઉત. ૩:૧૯.
આદમ અને હવાએ તો મોટી ભૂલ કરી. પણ જો આપણે એવી કોઈ ભૂલ કરવાથી બચવું હોય તો શું કરવું જોઈએ? યહોવાને સારી રીતે ઓળખીએ. તેમના ગુણો વિશે શીખીએ. તેમના વિચારો જાણવાની કોશિશ કરીએ. એનાથી યહોવા માટેનો આપણો પ્રેમ વધતો જશે. ઇબ્રાહિમે પણ એવું જ કર્યું. તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. પણ અમુક વખતે તે યહોવાનો નિર્ણય સમજી ન શક્યા. એવા સમયે તે યહોવાની સામે ન થયા. પણ તેમણે એ જાણવાની કોશિશ કરી કે યહોવાએ કેમ એવો નિર્ણય લીધો. દાખલા તરીકે, યહોવાએ ઇબ્રાહિમને કીધું કે તે સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે. એ સાંભળીને ઇબ્રાહિમ ડરી ગયા. તેમણે વિચાર્યું કે શું ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ ખરાબ લોકોની સાથે સાથે નેક લોકોનો પણ નાશ કરશે? તેમને થયું, યહોવા તો આવું કરી જ ન શકે. એટલે તેમણે યહોવાને એક પછી એક સવાલો પૂછ્યા. યહોવાએ પણ ધીરજથી તેમના બધા સવાલોના જવાબ આપ્યા. એ બનાવથી ઇબ્રાહિમ યહોવાને વધારે સારી રીતે ઓળખી શક્યા. તે જોઈ શક્યા કે યહોવા લોકોનું દિલ જુએ છે. તે ક્યારેય નિર્દોષ લોકોને સજા નથી કરતા.—ઉત. ૧૮:૨૦-૩૨. w૨૨.૦૮ ૨૮ ¶૯-૧૦
શુક્રવાર, માર્ચ ૨૯
“વિશ્વાસુ માણસ ખાનગી વાતો ગુપ્ત રાખે છે.”—નીતિ. ૧૧:૧૩.
ઈ.સ. પૂર્વે ૪૫૫માં યરૂશાલેમની દીવાલો ફરી બાંધવામાં આવી. એના પછી રાજ્યપાલ નહેમ્યા એવા લોકોને શોધવા લાગ્યા, જેઓ શહેરની સારી રીતે સંભાળ રાખી શકે. તેમણે અમુક લોકોને એ જવાબદારી સોંપી. એમાંના એક હતા, કિલ્લાના અધિકારી હનાન્યા. ‘તે સૌથી વિશ્વાસુ હતા અને બીજા બધા કરતાં સાચા ઈશ્વરનો વધારે ડર રાખતા હતા.’ (નહે. ૭:૨) તે યહોવાને બહુ પ્રેમ કરતા હતા. યહોવા દુઃખી થાય એવું કોઈ કામ તે કરવા માંગતા ન હતા. એટલે તેમને જે જવાબદારી સોંપવામાં આવતી, એને સારી રીતે નિભાવતા. એમાં પોતાનો જીવ રેડી દેતા. આપણે પણ યહોવાને પ્રેમ કરીશું અને તેમનો ડર રાખીશું તો જવાબદારીઓ સારી રીતે નિભાવી શકીશું. ભાઈ-બહેનો પણ આપણા પર ભરોસો કરી શકશે. આપણે તુખિકસ પાસેથી પણ ઘણું શીખી શકીએ. તે પાઉલના પાકા દોસ્ત હતા. તુખિકસે પાઉલને ઘણી મદદ કરી હતી. એટલે પાઉલે તેમને “વિશ્વાસુ સેવક” કહ્યા. (એફે. ૬:૨૧, ૨૨) પાઉલને તુખિકસ પર પૂરો ભરોસો હતો. તેમણે તુખિકસને અમુક જવાબદારીઓ સોંપી. એફેસસ અને કોલોસીનાં મંડળોને પત્રો પહોંચાડવાનું કામ સોંપ્યું. એટલું જ નહિ, ત્યાંનાં ભાઈ-બહેનોને ઉત્તેજન અને દિલાસો આપવાનું પણ કીધું. આજે તુખિકસની જેમ આપણી પાસે પણ ઘણા ભરોસાપાત્ર ભાઈઓ છે. તેઓ યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા ઘણી મદદ કરે છે.—કોલો. ૪:૭-૯. w૨૨.૦૯ ૯-૧૦ ¶૫-૬