આ પુસ્તિકા કઈ રીતે વાપરીશું:
ઈશ્વર પાસેથી ખુશખબર! ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ શરૂ કરવા આપણને મદદ મળે માટે નવી પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે
૧. ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ શરૂ કરવા ‘તમારા હૃદયની સંભાળ રાખો!’ સંમેલનમાં કઈ નવી પુસ્તિકા બહાર પાડવામાં આવી?
૧ ‘તમારા હૃદયની સંભાળ રાખો!’ ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં આપણને ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા મળી હતી, જેથી આપણને ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસ શરૂ કરવા મદદ મળે. આ પુસ્તિકા માંગે છે પુસ્તિકા જેવી જ છે. હવે આપણે માંગે છે પુસ્તિકાને બદલે આ નવી પુસ્તિકા વાપરીશું. એમાં દરેક પાઠ ટૂંકમાં સમજાવ્યા છે. હવે સહેલાઈથી આપણે ઘરમાલિકના બારણે ઊભા રહીને એમાંથી અભ્યાસ કરી શકીશું. માંગે છે પુસ્તિકામાં ખ્રિસ્તી બનવા વિષેની જરૂરિયાતો જણાવી હતી. એ સ્વીકારવી અમુક નવા વિદ્યાર્થીઓ માટે અઘરી હતી. જ્યારે કે આ નવી પુસ્તિકા બાઇબલમાંથી મળતી ખુશખબર પર ખાસ ભાર મૂકે છે.—પ્રે.કૃ. ૧૫:૩૫.
૨. ખુશખબર પુસ્તિકા કેમ બહાર પાડવામાં આવી?
૨ ખુશખબર પુસ્તિકા કેમ બહાર પાડવામાં આવી? દુનિયા ફરતેના ભાઈઓની એવા સાહિત્યની માંગ હતી, જેનાથી લોકોને સત્યમાં રસ પડે અને જેનાથી લોકો સાથે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરી શકાય. એ તો બાઇબલ અભ્યાસ શરૂ કરવાનું ખાસ પુસ્તક છે. ઘણી વાર લોકો પુસ્તક જોઈને ગભરાઈ જાય છે. જ્યારે કે આ પુસ્તિકા જોઈને બાઇબલમાંથી શીખવા તૈયાર થશે. એ ઉપરાંત, અનેક ભાષાઓમાં પુસ્તિકાનું ભાષાંતર કરવું સહેલું છે.
૩. લોકો સાથે અભ્યાસ ચલાવવાના આપણા ઘણા પુસ્તકો કરતાં આ પુસ્તિકા કઈ રીતે અલગ છે.
૩ કઈ રીતે તૈયાર કરવામાં આવી: લોકો સાથે અભ્યાસ ચલાવવાનું આપણું ઘણું સાહિત્ય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે વ્યક્તિ જાતે વાંચીને સત્ય સમજી શકે. જ્યારે આ પુસ્તિકા એવી નથી. એને એ રીતે લખવામાં આવી છે કે શિક્ષકની મદદથી વિદ્યાર્થી બાઇબલ વિશે શીખી શકે. એટલે કોઈને પુસ્તિકા આપીએ ત્યારે એમાંથી એક-બે ફકરાની ચર્ચા કરવી સારું થશે. ફકરાઓ ટૂંકા હોવાથી એની ચર્ચા ઘરમાલિકના બારણે ઊભા રહીને કે તેમના નોકરી-ધંધાની જગ્યાએ સહેલાઈથી કરી શકાય. જોકે, પહેલાં પાઠથી અભ્યાસ શરૂ કરવો સારો કહેવાય. તેમ છતાં, કોઈ પણ પાઠમાંથી અભ્યાસ શરૂ કરી શકાય.
૪. સીધેસીધું બાઇબલમાંથી શીખવવા આ પુસ્તિકા કઈ રીતે મદદ કરે છે?
૪ આપણા ઘણા સાહિત્યમાં છાપેલા સવાલોના જવાબ ફકરાઓમાં જ હોય છે. જ્યારે કે આ પુસ્તિકામાં સવાલના જવાબ સીધા બાઇબલમાંથી મળે છે. મોટા ભાગના લોકોને આપણા સાહિત્યમાંથી નહિ પણ બાઇબલમાંથી શીખવું ગમે છે. એટલે જ, કોઈ પણ ટાંકેલી કલમ બાઇબલમાંથી સીધેસીધી લેવામાં આવી નથી. કેમ કે, ટાંકેલી કલમને બાઇબલમાંથી વાંચવાની છે. એનાથી વિદ્યાર્થી જોઈ શકશે કે પોતે જે શીખે છે એ ઈશ્વર પાસેથી આવે છે.—યશા. ૫૪:૧૩.
૫. આપણે કેમ બીજાને શીખવતા પહેલાં હંમેશાં સારી તૈયારી કરવી જોઈએ?
૫ આ પુસ્તિકા બધી જ કલમો સમજાવતી નથી. શા માટે? એને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે વિદ્યાર્થી સવાલો પૂછે અને શિક્ષક એનો જવાબ આપે. એ કારણથી બીજાને શીખવતાં પહેલાં સારી તૈયારી કરવી ખૂબ જરૂરી છે. તેમ જ, ધ્યાન રાખીએ કે વધારે પડતું બોલ બોલ ન કરીએ. ખરું કે કલમો સમજાવવાનું આપણને ખૂબ ગમતું હોય છે. પણ કલમોની લાંબી સમજણ આપવાને બદલે વિદ્યાર્થીને પૂછીશું કે, તે શું સમજ્યો છે તો એનાથી ઘણું સિદ્ધ થશે. સમજી વિચારીને સવાલ કરવાથી વિદ્યાર્થીને કલમ સમજવા આપણે મદદ કરી શકીશું.—પ્રે.કૃ. ૧૭:૨.
૬. આ પુસ્તિકા કઈ રીતે વાપરી શકીએ: (ક) જ્યારે લોકો કહે કે પોતે ઈશ્વર અને બાઇબલમાં માનતા નથી? (ખ) ઘર ઘરના પ્રચાર કાર્યમાં? (ગ) બાઇબલ અભ્યાસની સીધેસીધી ઑફર કરતી વખતે? (ઘ) ફરી મુલાકાત કરતી વખતે?
૬ બાઇબલ અભ્યાસ ચલાવવાના બીજા સાહિત્યની જેમ આ પુસ્તિકા કોઈ પણ સમયે લોકોને આપી શકાય. પછી ભલેને મહિનાની ઑફર ગમે એ હોય. ઘરમાલિકના બારણે ઊભા રહીને બાઇબલ અભ્યાસની સીધેસીધી ઑફર કરવી આપણામાંના ઘણાને ગમશે. એ ઉપરાંત, ડિસ્ટ્રીક્ટ સંમેલનમાં જણાવ્યું હતું એમ રસ ધરાવતી વ્યક્તિની ‘ફરી મુલાકાત કરતી વખતે આ પુસ્તિકા વાપરવાની ખૂબ મઝા આવશે.’—પાન ૪-૭ના બૉક્સ જુઓ.
૭. આ પુસ્તિકા વાપરીને તમે કઈ રીતે બાઇબલ અભ્યાસ ચલાવશો?
૭ અભ્યાસ કઈ રીતે ચલાવીશું: ક્રમમાં આપેલો સવાલ વાંચીને આપણે ચર્ચા કરવાનું શરૂ કરી શકીએ. પછી ફકરો અને ત્રાંસા અક્ષરોમાં આપેલી કલમો વાંચીએ. ઘરમાલિક એ કલમ સમજ્યા છે એ જાણવા સમજી-વિચારીને સવાલો પૂછીશું. બીજા મુદ્દા પર જતાં પહેલાં ઘરમાલિક શું સમજ્યા એ જાણવા માટે ઘાટા અક્ષરથી લખેલા સવાલનો જવાબ આપવા કહીશું. શરૂઆતના અમુક અઠવાડિયા સુધી ઘાટા અક્ષરમાં આપેલા એક જ સવાલની ચર્ચા કરવી સારું થશે. સમય જતાં, કદાચ આખો પાઠ એક જ વખતમાં આવરી શકાય.
૮. કલમ બતાવતી વખતે આપણે શું કહેવું જોઈએ અને શા માટે?
૮ ઘાટ્ટા અક્ષરોમાં આપેલા સવાલનો જવાબ ત્રાંસા અક્ષરોમાં આપેલી “વાંચો” કલમોમાંથી મળે છે. કલમ વાંચતા પહેલાં આમ ન કહીએ: ‘પ્રેરિત પાઊલે લખ્યું,’ અથવા ‘યર્મિયાની ભવિષ્યવાણી પર ધ્યાન આપો.’ એમ કહીશું તો, ઘરમાલિકને લાગશે કે આપણે કોઈ માણસોના શબ્દો વાંચી રહ્યાં છીએ. એના બદલે આમ કહીએ: “ઈશ્વરે બાઇબલમાં શું કહ્યું છે” અથવા “બાઇબલ શું કહે છે એ નોંધ કરો.”
૯. અભ્યાસ કરતી વખતે શું આપણે ટાંકેલી બધી જ કલમો વાંચવી જોઈએ?
૯ શું આપણે ટાંકેલી બધી કલમો વાંચવી કે ફક્ત “વાંચો” કલમ વાંચવી જોઈએ? એ સંજોગો પર આધારિત છે. બાઇબલમાં ક્યાંથી વિચાર લેવામાં આવ્યો છે એ બતાવવા જ કલમ ટાંકી નથી. દરેક ટાંકેલી કલમમાં ચર્ચા કરવા માટે મહત્ત્વની માહિતી છે. પરંતુ, વિદ્યાર્થી પાસે પૂરતો સમય ન હોય, બહુ રસ ન હોય અથવા બરાબર વાંચી શકતા ન હોય એવા કિસ્સામાં, ફક્ત “વાંચો” કલમો વાંચવી જોઈએ.
૧૦. બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ ક્યારે શરૂ કરી શકાય?
૧૦ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ ક્યારે શરૂ કરી શકાય: અમુક અઠવાડિયા સુધી ચર્ચા અને નિયમિત અભ્યાસ કર્યા પછી, બાઇબલ શીખવે છે પુસ્તકમાં જઈ શકાય અથવા આ જ પુસ્તિકામાંથી ચાલું રાખી શકાય. પ્રકાશકોએ સમજી વિચારીને નક્કી કરવું જોઈએ કે બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી અભ્યાસ ક્યારે શરૂ કરશે. એમાંથી અભ્યાસ કરીએ ત્યારે શું શરૂઆતથી કરવો જોઈએ? એ વિશે કોઈ નિયમ નથી. દરેક વિદ્યાર્થીના અલગ અલગ સંજોગો હોય છે. તેમ છતાં, જે વિષયની ચર્ચા થઈ છે એને પુસ્તકમાંથી ફરીથી વિગતવાર ચર્ચા કરવામાં આવે તો, મોટા ભાગના વિદ્યાર્થીને ફાયદો થશે.
૧૧. આ પુસ્તિકાનો આપણે કેમ સૌથી સારો ઉપયોગ કરવો જોઈએ?
૧૧ આજે દુનિયામાં સારા સમાચાર ભાગ્યે જ સાંભળવા મળે છે. પણ સૌથી સારા સમાચાર જણાવવાની તક આપણને છે. એ છે ઈશ્વરનું રાજ્ય હવે બહુ જલદીથી નવી દુનિયા લાવશે જેમાં ફક્ત ન્યાયી લોકો રહેશે. (માથ. ૨૪:૧૪; ૨ પીત. ૩:૧૩) આપણને પૂરી ખાતરી છે કે આપણો સંદેશો સાંભળશે એમાંના ઘણા લોકો આ શબ્દો સાથે સહમત થશે: “જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, કે તારો ઈશ્વર રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!” (યશા. ૫૨:૭) ચાલો આપણા વિસ્તારમાં ઈશ્વરના જ્ઞાન માટે તરસતા લોકોને ખુશખબર જણાવવા આ પુસ્તિકા વાપરતા રહીએ!
[પાન ૬ પર બોક્સ]
ઈશ્વર અને બાઇબલમાં માનતા નથી એવું કહે ત્યારે:
● અમુક વિસ્તારોમાં પ્રકાશકોને જોવા મળ્યું છે કે, “ઈશ્વર,” “ઈસુ” અને “બાઇબલ” જેવા શબ્દો વાપરવાથી લોકો આપણો સંદેશો સાંભળવાનો નકાર કરે છે. એવા કિસ્સામાં, લોકોને ચિંતા હોય એ બાબતોની પહેલી જ મુલાકાતમાં ચર્ચા કરવી સારું થશે. જેમ કે, સારી સરકાર વિશે, સુખી કુટુંબ માટે માર્ગદર્શન ક્યાંથી મળી શકે, આપણું ભાવિ કેવું હશે. ઈશ્વર છે અને બાઇબલમાં કેમ ભરોસો મૂકી શકાય એની અમુક વખત ચર્ચા કર્યા પછી, આપણે કદાચ ખુશખબર પુસ્તિકા આપી શકીએ.
[પાન ૭ પર બોક્સ]
ઘર ઘરનું પ્રચાર કરતી વખતે:
● “તમને ક્યારેય થયું છે કે શું ઈશ્વર આપણું દુઃખ કદી મિટાવી દેશે? [જવાબ આપવા દો.] એ વિશે શાસ્ત્ર શું કહે એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો વાત ચાલુ રાખો.] આ પુસ્તિકા બતાવે છે કે એ સવાલનો જવાબ બાઇબલમાં ક્યાંથી મળી શકે. [ઘરમાલિકને પુસ્તિકા આપો, પહેલા પાઠનો પહેલો ફકરો અને યિર્મેયા ૨૯:૧૧ વાંચો.] આના પરથી લાગે છે કે ઈશ્વર આપણું ભલું ઇચ્છે છે? [જવાબ આપવા દો.] તમે આ પુસ્તિકા રાખી શકો છો. ફરી વાર આપણે બીજા ફકરામાંથી આ સવાલનો જવાબ બાઇબલમાંથી મેળવીશું: ‘ઈશ્વર કઈ રીતે મનુષ્યોનું સર્વ દુઃખ મિટાવી દેશે?’” જો લાગે કે ઘરમાલિક પાસે સમય છે, તો પહેલી જ મુલાકાતમાં બીજો ફકરો વાંચીને બાઇબલની ત્રણ કલમોની ચર્ચા કરી શકો. પછી એ પાઠના બીજા સવાલની ચર્ચા કરવાની ગોઠવણ કરો.
● “ઘણા લોકોને પ્રાર્થના કરવું ગમે છે, ખાસ કરીને મુશ્કેલી આવી પડે ત્યારે. તમે પણ પ્રાર્થના કરતા હશો, ખરુંને? [જવાબ આપવા દો.] તમને લાગે છે કે ઈશ્વર બધી જ પ્રાર્થનાઓ સાંભળે છે કે પછી અમુક પ્રાર્થનાઓથી કંટાળે છે? [જવાબ આપવા દો.] એ વિશે શાસ્ત્ર શું કહે એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો વાત ચાલુ રાખો.] આવા સવાલોના જવાબ બાઇબલમાં ક્યાં મળી શકે એ આ પુસ્તિકામાં જણાવ્યું છે. [ઘરમાલિકને પુસ્તિકા આપો, બારમાં પાઠનો પહેલો ફકરો અને “વાંચો” કલમની ચર્ચા કરો.] ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળવા તૈયાર છે એ કેટલું અજોડ કહેવાય! પ્રાર્થનાનો પૂરો લાભ મેળવવા, આપણે પ્રથમ તો ઈશ્વરને સારી રીતે ઓળખવા જોઈએ. [બીજા નંબરનો પાઠ અને એના ગૌણમથાળા બતાવો.] તમે આ પુસ્તિકા રાખી શકો અને ફરી મળીશું ત્યારે આ સવાલોના જવાબ આપણે બાઇબલમાંથી જોઈશું.”
● “દુનિયા ક્યાં જઈ રહી છે એની ઘણા લોકોને ચિંતા છે. શું તમને લાગે છે કે દુનિયાની હાલત કદી સુધરશે? [જવાબ આપવા દો.] એ વિશે શાસ્ત્ર શું કહે એ તમને બતાવી શકું? [ઘરમાલિકને રસ હોય તો વાત ચાલુ રાખો.] બાઇબલમાં આપેલી ખુશખબરથી આપણને સારાં ભાવિની આશા મળે છે, એ જાણીને ઘણા લોકોને નવાઈ લાગે છે. બાઇબલ આવા સવાલોના જવાબ આપે છે.” તેને પુસ્તિકા આપો અને પાછળના પાન પર આપેલા સવાલોમાંથી એક પસંદ કરવાનું કહો. પછી એ પાઠ ખોલીને કઈ રીતે અભ્યાસ ચલાવીએ છીએ એ બતાવો. બીજા સવાલની ચર્ચા કરવા ફરી મળવાની ગોઠવણ કરો.
[પાન ૮ પર બોક્સ]
સીધેસીધી ઑફર (જેઓને બાઇબલ માટે માન છે):
● “બાઇબલ અભ્યાસ માટે હવે નવી પુસ્તિકા છે એ ટૂંકમાં જણાવવા આવ્યો છું. એમાં ૧૫ પાઠ છે, જે બતાવે છે કે આ મહત્ત્વના સવાલોના જવાબ બાઇબલમાં ક્યાંથી મળી શકે. [તેમને પુસ્તિકાનું કવર અને છેલ્લું પાન બતાવો.] શું તમે બાઇબલ સમજવાનો પ્રયત્ન કર્યો છે? [જવાબ આપવા દો.] તમને બતાવું કે દરેક પાઠ બહુ સહેલાં છે. [ત્રીજા પાઠના ત્રીજા સવાલના પહેલાં ફકરાની ચર્ચા કરો અને પ્રકટીકરણ ૨૧:૪, ૫ વાંચો. શક્ય હોય તો, એ પછીનો ફકરો અને “વાંચો” કલમો વાંચો.] તમે આ પુસ્તિકા રાખી શકો. અમે ઉત્તેજન આપીએ છીએ કે તમે એક વાર પણ બાઇબલ અભ્યાસ કરો. તમને ગમે તો ચાલું રાખજો. ફરી મળીશું ત્યારે પહેલો પાઠ વાંચીશું, એ ફક્ત એક પાનનો છે.”
[પાન ૮ પર બોક્સ]
ફરી મુલાકાત કરતી વખતે બતાવો:
● “તમને ફરી મળીને આનંદ થયો. તમારી માટે આ નવી પુસ્તિકા લાવ્યો છું. એમાં તમને રસ પડે એવા સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા છે. [તેમને પુસ્તિકા આપો અને છેલ્લું પાનું બતાવો.] આમાંથી તમને કયો વિષય વધારે ગમે છે? [જવાબ આપવા દો. તેમણે પસંદ કરેલો પાઠ ખોલો.] તમને બતાવી શકું કે આ પુસ્તિકા આપણને બાઇબલમાંથી જવાબ મેળવવા કઈ રીતે મદદ કરે છે?” એક-બે ફકરા અને “વાંચો” કલમ વાંચીને ચર્ચા કરો. આ રીતે સહેલાઈથી તમે બાઇબલ અભ્યાસ કરી શકશો. ઘરમાલિકને પુસ્તિકા આપો અને ફરી મળવાની ગોઠવણ કરો. શરૂ કરેલો પાઠ પૂરો કર્યા પછી ઘરમાલિક પસંદ કરે એ પાઠ અથવા પુસ્તિકાની શરૂઆતથી તમે અભ્યાસ શરૂ કરી શકો.