ગુરુવાર, ડિસેમ્બર ૧૮
‘યહોવા, જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી આજ્ઞાઓ પાળે છે, તેઓને તમે અતૂટ પ્રેમ બતાવો છો.’—દાનિ. ૯:૪.
બાઇબલમાં ઘણી વાર “વફાદારી” કે “અતૂટ પ્રેમ” શબ્દ વપરાયો છે. મોટા ભાગે એ શબ્દ ઈશ્વર પોતાના લોકોને કેટલો પ્રેમ કરે છે એ બતાવવા વપરાયો છે. એ જ શબ્દ ઈશ્વરના લોકો વચ્ચેનો પ્રેમ બતાવવા પણ વપરાયો છે. (૨ શમુ. ૯:૬, ૭) યહોવા ચાહે છે કે આપણે પણ વફાદારી બતાવીએ. સમય વીતતો જાય તેમ, આપણી વફાદારી મજબૂત થઈ શકે છે. ચાલો જોઈએ કે એ વાત દાનિયેલના કિસ્સામાં કેવી રીતે સાચી સાબિત થઈ. દાનિયેલના જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા, જ્યારે તેમણે બતાવવાનું હતું કે તે યહોવાને વફાદાર રહેશે કે નહિ. પણ જ્યારે તેમની ઉંમર ૯૦ વર્ષ કરતાં વધારે હતી, ત્યારે એક બહુ મોટી મુશ્કેલી આવી. રાજદરબારના અધિકારીઓને દાનિયેલ દીઠાય ગમતા ન હતા. તેઓ દાનિયેલના ઈશ્વરને પણ માન આપતા ન હતા. એટલે તેઓએ દાનિયેલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. તેઓએ રાજા દ્વારા એક ફરમાન બહાર પડાવ્યું. એનાથી પરખ થવાની હતી કે દાનિયેલ પોતાના ઈશ્વરને વફાદાર રહેશે કે રાજાને. રાજા પ્રત્યેની વફાદારી બતાવવા દાનિયેલે ૩૦ દિવસ સુધી યહોવાની ભક્તિ બંધ કરી દેવાની હતી. પણ દાનિયેલે જરાય તડજોડ ન કરી. —દાનિ. ૬:૧૨-૧૫, ૨૦-૨૨. w૨૩.૦૮ ૫ ¶૧૦-૧૨
શુક્રવાર, ડિસેમ્બર ૧૯
“એકબીજાને પ્રેમ કરતા રહીએ.”—૧ યોહા. ૪:૭.
યહોવા ચાહે છે કે આપણે ભાઈ-બહેનોને પ્રેમ કરતા રહીએ. જ્યારે કોઈ ભાઈ કે બહેન આપણી સાથે ખરાબ રીતે વર્તે, ત્યારે આ વાત યાદ રાખી શકીએ: તે કંઈ જાણીજોઈને આપણને ખોટું લગાડવા માંગતા ન હતા અને તે પણ યહોવાની આજ્ઞાઓ પાળવા પૂરી કોશિશ કરી રહ્યા છે. (નીતિ. ૧૨:૧૮) યહોવા પોતાના વફાદાર સેવકોની ખામીઓ જાણે છે. છતાં તે તેઓને પ્રેમ કરે છે. આપણે ભૂલો કરીએ ત્યારે તે આપણી સાથે સંબંધ તોડી નથી નાખતા અને કાયમ ગુસ્સે નથી રહેતા. (ગીત. ૧૦૩:૯) યહોવાનો આભાર કે તે આપણને માફ કરે છે! તો ચાલો, તેમનું અનુકરણ કરીએ અને બીજાઓને માફ કરીએ. (એફે. ૪:૩૨–૫:૧) આ વાત પણ યાદ રાખો: જેમ જેમ અંત નજીક આવતો જાય છે, તેમ તેમ આપણે ભાઈ-બહેનોની વધારે નજીક રહેવું જોઈએ. આવનાર સમયમાં આપણી સખત સતાવણી થશે. શ્રદ્ધાને લીધે કદાચ આપણને જેલમાં પણ નાખી દેવામાં આવશે. એવું થાય ત્યારે ભાઈ-બહેનોની વધારે જરૂર પડશે.—નીતિ. ૧૭:૧૭. w૨૪.૦૩ ૧૫-૧૬ ¶૬-૭
શનિવાર, ડિસેમ્બર ૨૦
“યહોવા જ માણસનાં પગલાં ખરા માર્ગે દોરી જાય છે.”—નીતિ. ૨૦:૨૪.
બાઇબલમાં યુવાનોના દાખલા છે, જેઓ યહોવાની નજીક રહ્યા હતા, તેમની કૃપા મેળવી હતી અને જીવનમાં ખુશ હતા. દાઉદ તેઓમાંનો એક હતો. ખૂબ નાની ઉંમરે તેણે યહોવાની ભક્તિ કરવાનું નક્કી કર્યું હતું અને સમય જતાં તે એક વફાદાર રાજા બન્યો. (૧ રાજા. ૩:૬; ૯:૪, ૫; ૧૪:૮) તમે કદાચ દાઉદના જીવન પર અભ્યાસ કરવાનું વિચારી શકો. તેના દાખલાથી તમને પણ વફાદારીથી યહોવાની સેવા કરવાનું ઉત્તેજન મળશે. અથવા તમે માર્ક કે તિમોથીના જીવન પર અભ્યાસ કરી શકો. તેઓએ નાનપણથી યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું હતું અને જીવનભર વફાદારીથી યહોવાની ભક્તિ કરી. તેઓના એ નિર્ણયથી યહોવાને ખુશી થઈ હશે. તમે હમણાં જે રીતે જીવન જીવો છો અને નિર્ણયો લો છો, એના આધારે નક્કી થશે કે તમારું ભાવિ કેવું હશે. જો તમે પોતાના પર નહિ, પણ યહોવા પર ભરોસો રાખશો, તો તે તમને સારા નિર્ણયો લેવા મદદ કરશે. તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે અને તમારા માથે યહોવાનો હાથ હશે. યાદ રાખો, યહોવા માટે તમે જે કંઈ કરો છો એને તે કીમતી ગણે છે. સ્વર્ગમાંના આપણા પ્રેમાળ પિતાની સેવામાં પોતાનું જીવન વિતાવવું, એના કરતાં વધારે સારું બીજું શું હોઈ શકે! w૨૩.૦૯ ૧૩ ¶૧૮-૧૯