શુક્રવાર, ડિસેમ્બર ૫
“‘તમારા લીધે હું બીજી પ્રજાઓમાં પવિત્ર મનાઈશ ત્યારે, બીજી પ્રજાઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું,’ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.”—હઝકિ. ૩૬:૨૩.
ઈસુ જાણતા હતા કે યહોવાનો હેતુ શું છે. યહોવાનો હેતુ છે કે તેમનું નામ પવિત્ર મનાવવામાં આવે. તેમના નામ પર લાગેલાં બધાં કલંક દૂર કરવામાં આવે. એટલે જ આપણા માલિકે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ. ૬:૯) ઈસુ જાણતા હતા કે ઈશ્વરનું નામ પવિત્ર મનાય, એ આખા વિશ્વનો સૌથી મોટો મુદ્દો છે. યહોવાનું નામ પવિત્ર મનાવવા ઈસુએ જેટલું કર્યું છે, એટલું આખા બ્રહ્માંડમાં બીજા કોઈએ કર્યું નથી. તોપણ તેમની ધરપકડ થઈ ત્યારે દુશ્મનોએ તેમના પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ મૂક્યો. ઈસુ જાણતા હતા કે તેમના પિતાના પવિત્ર નામની નિંદા કરવી તો ઘોર પાપ છે. તેમના પર આવો આરોપ મૂકવામાં આવશે અને તેમને ગુનેગાર ઠરાવવામાં આવશે એ વિચારથી જ તેમને અસહ્ય પીડા થતી હતી. કદાચ એ જ કારણે, ધરપકડના અમુક કલાકો પહેલાં “તેમની વેદનાનો કોઈ પાર ન હતો.”—લૂક ૨૨:૪૧-૪૪. w૨૪.૦૨ ૧૧ ¶૧૧
શનિવાર, ડિસેમ્બર ૬
“બુદ્ધિથી ઘર બંધાય છે.”—નીતિ. ૨૪:૩.
જીવનની દોડમાં દોડતા રહેવા જરૂરી છે કે આપણે સૌથી વધારે પ્રેમ યહોવા અને ઈસુને કરીએ, કુટુંબીજનો કરતાં પણ વધારે પ્રેમ કરીએ. (માથ. ૧૦:૩૭) જોકે, એનો અર્થ એ નથી કે આપણે કુટુંબની જવાબદારીઓથી હાથ ઊંચા કરી દઈએ, જાણે એ યહોવા અને ઈસુને ખુશ કરવામાં આડે આવતી હોય. એને બદલે તેઓને ખુશ કરવા જરૂરી છે કે આપણે પોતાની જવાબદારીઓ નિભાવીએ. (૧ તિમો. ૫:૪, ૮) એમ કરવાથી વધારે ખુશ રહી શકીશું. યહોવા જાણે છે કે જ્યારે કુટુંબમાં દરેક જણ પોતાની જવાબદારી નિભાવે છે, ત્યારે કુટુંબ ખુશખુશાલ બને છે. જેમ કે, જ્યારે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે છે અને માન આપે છે, જ્યારે મમ્મી-પપ્પા બાળકોને પ્રેમ કરે છે અને તાલીમ આપે છે તેમજ જ્યારે બાળકો મમ્મી-પપ્પાનું કહ્યું કરે છે, ત્યારે કુટુંબમાં ખુશીઓ આવે છે. (એફે. ૫:૩૩; ૬:૧, ૪) ભરોસો રાખો કે બાઇબલમાં પતિ-પત્ની, મમ્મી-પપ્પા અને બાળકો માટે જે સરસ સલાહ આપવામાં આવી છે, એ પાળવાથી હંમેશાં ભલું થાય છે. આજે મોટા ભાગના લોકો પોતાને જે ઠીક લાગે એ કરે છે અથવા આજુબાજુના લોકો જે કરતા હોય એ કરે છે. અથવા તેઓ મોટા મોટા સલાહકારોની વાત માને છે. પણ તેઓનું આંધળું અનુકરણ કરવાને બદલે બાઇબલની સલાહ માનો. બાઇબલ આધારિત સાહિત્યનો ઉપયોગ કરો. એમાં સરસ રીતે સમજાવવામાં આવે છે કે બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડવા. w૨૩.૦૮ ૨૮ ¶૬-૭
રવિવાર, ડિસેમ્બર ૭
“તારે રાત-દિવસ એ વાંચવું અને મનન કરવું, જેથી એમાં જે જે લખ્યું છે એ તું સારી રીતે પાળી શકે. એમ કરીશ તો જ તું સફળ થઈશ અને સમજદારીથી વર્તી શકીશ.”—યહો. ૧:૮.
ખ્રિસ્તી બહેનોએ અમુક આવડતો કેળવવી જોઈએ. જ્યારે એક છોકરી બાળપણથી અમુક આવડતો કેળવે છે, ત્યારે એ તેને આખું જીવન કામ લાગે છે. જેમ કે, સારી રીતે વાંચતાં-લખતાં શીખો. અમુક સમાજમાં સ્ત્રીઓને વાંચતાં-લખતાં શીખવવામાં આવતું નથી, કેમ કે એ સમાજના લોકોને લાગે છે કે સ્ત્રીઓને એની જરૂર નથી. પણ યહોવાના દરેક ભક્તને એ આવડતું હોવું જોઈએ. (૧ તિમો. ૪:૧૩) એટલે ભલે ગમે એવી અડચણ આવે, પણ વાંચતાં-લખતાં શીખવાનું છોડશો નહિ. એમ કરવાનું ચાલુ રાખો. એનાથી કેવા ફાયદા થશે? તમે કદાચ એક સારી નોકરી મેળવી શકશો, જેનાથી તમારું ગુજરાન ચાલે. તમે બાઇબલનો સારી રીતે અભ્યાસ કરી શકશો અને બીજાઓને સારી રીતે શીખવી શકશો. સૌથી મોટો ફાયદો, જેમ જેમ તમે બાઇબલ વાંચતા જશો અને મનન કરતા જશો, તેમ તેમ યહોવા સાથેનો તમારો સંબંધ પાકો થતો જશે.—૧ તિમો. ૪:૧૫. w૨૩.૧૨ ૨૦ ¶૧૦-૧૧