શુક્રવાર, ઑગસ્ટ ૭
“યરૂશાલેમના મંડળની ભારે સતાવણી શરૂ થઈ.”—પ્રે.કા. ૮:૧.
ઈસવીસન ૩૩માં ઈસુનું મરણ થયું એ પછી યરૂશાલેમ અને યહૂદિયામાં રહેતા હિબ્રૂ ખ્રિસ્તીઓએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. ખ્રિસ્તી મંડળની શરૂઆત થઈ એ પછી તરત જ તેઓની આકરી સતાવણી થઈ. વીસેક વર્ષ પછી તેઓએ દુકાળ અને ગરીબીને લીધે આર્થિક મુશ્કેલીઓ સહેવી પડી. (પ્રે.કા. ૧૧:૨૭-૩૦) પણ ૬૧ની સાલની આસપાસનો સમય તેઓ માટે શાંતિનો સમય હતો. આ તો તોફાન પહેલાંની શાંતિ હતી. કેમ કે બહુ જલદી મુસીબતોનું ભારે તોફાન આવવાનું હતું. એ સમયગાળા દરમિયાન યહોવાએ પ્રેરિત પાઉલ દ્વારા તેઓને એક પત્ર મોકલ્યો. એ પત્રમાં આપેલી સલાહ તેઓ માટે એકદમ સમયસરની હતી. હિબ્રૂઓને લખેલો પત્ર સમયસરનો હતો, કેમ કે ખ્રિસ્તીઓ જે શાંતિ અનુભવી રહ્યા હતા એ બહુ જલદી છીનવાઈ જવાની હતી. પાઉલે તેઓને જરૂરી સલાહ આપી. એનાથી તેઓને આવનાર મુશ્કેલીઓનો ધીરજથી સામનો કરવા મદદ મળવાની હતી. w૨૪.૦૯ ૮ ¶૧-૨
શનિવાર, ઑગસ્ટ ૮
“તેઓએ મને ઘણો દિલાસો આપ્યો છે.”—કોલો. ૪:૧૧.
મુસીબતો સહેતા હોઈએ ત્યારે, યહોવા ભાઈ-બહેનો દ્વારા આપણને પ્રેમ બતાવે છે. તેઓ અલગ અલગ રીતોએ આપણને દિલાસો આપે છે. જેમ કે, તેઓ ધ્યાનથી આપણી વાત સાંભળે છે. અમુક વાર તો તેઓની હાજરીથી જ દિલાસો મળે છે. કદાચ આપણી હિંમત વધારવા તેઓ બાઇબલની કોઈ કલમ બતાવે અથવા આપણી સાથે પ્રાર્થના કરે. (રોમ. ૧૫:૪) અમુક વાર કોઈ ભાઈ કે બહેન યહોવાના વિચારો યાદ અપાવે અને આમ તકલીફોમાં શાંત રહેવા આપણને મદદ કરે. ઘણી વાર એવું થાય કે નિરાશ હોઈએ ત્યારે કંઈ કરવાનું મન ન થાય. એવા સમયે ભાઈ-બહેનો ખોરાક લઈને આવે છે. એ પણ મદદ કરવાની એક રીત જ છે, ખરું ને? અમુક વખતે આપણે બીજાઓ પાસે મદદ માંગવી પડે. (નીતિ. ૧૭:૧૭) કદાચ તેઓ જાણતા ન હોય કે આપણે કેવું અનુભવીએ છીએ અથવા આપણને શાની જરૂર છે. (નીતિ. ૧૪:૧૦) એટલે, અનુભવી દોસ્તો સાથે વાત કરો અને જણાવો કે તમને કેવું લાગે છે. તમને શાનાથી મદદ મળશે એ પણ જણાવો. તમે ચાહો તો એવા એક કે બે વડીલ આગળ તમારું હૈયું ઠાલવી શકો, જેઓ સાથે તમે સહેલાઈથી વાત કરી શકો છો. અમુક બહેનોને બીજાં અનુભવી બહેનો સાથે વાત કરવાથી ઘણો દિલાસો મળ્યો છે. w૨૪.૧૦ ૧૦ ¶૧૫-૧૬
રવિવાર, ઑગસ્ટ ૯
‘જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળશે.’—યોહા. ૬:૪૦.
આજે મોટા ભાગના લોકો તંદુરસ્ત રહેવા માંગે છે. એટલે તેઓ પોતાના ખોરાકનું ધ્યાન રાખે છે અને નિયમિત રીતે કસરત કરે છે. પણ હંમેશ માટેના જીવનની વાતો તેઓને કોરી કલ્પના લાગે છે, કારણ કે લોકો માને છે કે નામ એનો નાશ! તેઓ વિચારે છે કે ભલે ગમે એટલું ધ્યાન રાખો, ઘડપણ અને મરણને રોકી શકાતું નથી. પણ ઈસુએ કહ્યું કે મનુષ્ય માટે ‘હંમેશ માટે જીવવું’ શક્ય છે. જેમ કે, તેમણે યોહાન ૩:૧૬ અને યોહાન ૫:૨૪માં એ વિશે વાત કરી હતી. ઈસુએ ચમત્કાર કરીને હજારો લોકોને માછલી અને રોટલી ખવડાવી હતી. (યોહા. ૬:૫-૩૫) એ જોરદાર ચમત્કાર હતો. પણ બીજા દિવસે તેમણે જે કહ્યું એ એનાથી પણ જોરદાર હતું. લોકોનું ટોળું તેમની પાછળ પાછળ કાપરનાહુમ આવ્યું હતું, જે ગાલીલ સરોવરને કિનારે હતું. એ વખતે ઈસુએ તેઓને જણાવ્યું કે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે અને તેઓને હંમેશ માટેનું જીવન મળશે. (યોહા. ૬:૩૯, ૪૦) ઈસુના શબ્દોથી ખાતરી મળે છે કે જેઓ મરણની ઊંઘમાં છે, તેઓને ઉઠાડવામાં આવશે. તેમ જ, તમે અને તમારા સ્નેહીજનો હંમેશ માટેના જીવનનો આનંદ માણી શકશો. w૨૪.૧૨ ૮ ¶૧-૨