ગુરુવાર, એપ્રિલ ૯
‘તેણે ગુનેગારો માટે સમાધાન કરાવ્યું.’—યશા. ૫૩:૧૨.
ઇબ્રાહિમે પોતાના દીકરા ઇસહાકનું બલિદાન યહોવાને ચઢાવવાનું હતું. શું તમે એ બાપની વેદનાનો વિચાર કરી શકો છો, જેણે પોતાના દીકરાનો જીવ લેવાનો છે? એવું કરવું તો દૂરની વાત, એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેમ છતાં ઇબ્રાહિમ યહોવાની આજ્ઞા પાળવા તૈયાર હતા. તે પોતાના દીકરાનો જીવ લેવાના જ હતા, પણ છેલ્લી ઘડીએ ઈશ્વરે તેમને રોકી દીધા. એ દાખલાથી શું શીખવા મળે છે? એ જ કે આગળ જતાં યહોવા વફાદાર લોકો માટે રાજીખુશીથી પોતાના સૌથી વહાલા દીકરાનું બલિદાન ચઢાવવાના હતા. શું તમે એ જોઈ શકો છો કે યહોવા તમને કેટલો બધો પ્રેમ કરે છે? (ઉત. ૨૨:૧-૧૮) સદીઓ પછી યહોવાએ ઇઝરાયેલી પ્રજાને નિયમશાસ્ત્ર આપ્યું. એમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાનાં પાપોની માફી મેળવવા ઘણાં બલિદાનો ચઢાવવાનાં હતાં. (લેવી. ૪:૨૭-૨૯; ૧૭:૧૧) એ બલિદાનો એક ચઢિયાતા બલિદાનને રજૂ કરતા હતા, જેનાથી માણસજાતમાંથી કાયમ માટે પાપ દૂર થવાનું હતું. યહોવાએ પોતાના પ્રબોધકોને એ વચન આપેલા વંશજ વિશે લખવા કહ્યું. તેઓએ સમજાવ્યું કે ઈશ્વરના જિગરનો ટુકડો દુઃખો વેઠશે અને મરણનું દુઃખ સહેશે. એના લીધે માણસજાતને, હા તમને પાપ અને મરણમાંથી આઝાદ કરી શકાય!—યશા. ૫૩:૧-૧૨. w૨૪.૦૮ ૪ ¶૭-૮
શુક્રવાર, એપ્રિલ ૧૦
“મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે! હું આખો દિવસ એના પર મનન કરું છું.”—ગીત. ૧૧૯:૯૭.
તમે બાઇબલ વાંચો ત્યારે, એ વિચારવું જરૂરી છે કે એને જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકો. બાઇબલનો કોઈ અહેવાલ વાંચતી વખતે પોતાને પૂછો: ‘હું આ માહિતીને હમણાં અથવા આવનાર દિવસોમાં કઈ રીતે લાગુ પાડી શકું?’ એ સમજવા ચાલો એક કસરત કરીએ. ધારો કે તમે પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૭, ૧૮ વાંચી રહ્યા છો. એ બે કલમો વાંચ્યા પછી થોડી વાર થોભો અને વિચારો કે તમે કેટલી વાર અને હૃદયના કેટલા ઊંડાણથી પ્રાર્થના કરો છો. તમે એ વાતોનો પણ વિચાર કરી શકો, જેના માટે તમે યહોવાનો આભાર માનવા માંગો છો. તમે નક્કી કરો છો કે તમે કોઈ ત્રણ ખાસ વાત માટે યહોવાનો આભાર માનશો. આવું કરવામાં થોડી જ મિનિટો લાગી. તેમ છતાં તમે કેટલું બધું શીખી શક્યા, ખરું ને? એનાથી તમને સંદેશો સાંભળવા જ નહિ, એ પ્રમાણે ચાલવા પણ મદદ મળી. હવે વિચારો, જો તમે આ રીતે દરરોજ થોડું થોડું બાઇબલ વાંચશો, તો તમને કેટલો ફાયદો થશે! હા, તમે સંદેશા પ્રમાણે ચાલીને યહોવાના વહાલા ભક્ત બની શકશો. w૨૪.૦૯ ૪-૫ ¶૯-૧૦
શનિવાર, એપ્રિલ ૧૧
“તમે સાવધ રહો, જેથી જે મેળવવા અમે મહેનત કરી છે એ તમે ગુમાવી ન દો, પણ તમે પૂરેપૂરું ઇનામ મેળવો.”—૨ યોહા. ૮.
યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે જ્યારે બીજાઓને કંઈક આપીએ છીએ, ત્યારે ખુશી મળે છે. આપણે ભાઈ-બહેનોને મદદ કરી શકીએ છીએ એ વિચારથી જ દિલમાં સારું લાગે છે. બીજાઓ આભાર માને છે ત્યારે ખુશી થાય છે. પણ કોઈ આભાર માને કે ન માને, આપણે ખુશ રહી શકીએ છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે યહોવાને ગમે એવું જ કરીએ છીએ. કદી ન ભૂલો, ભલે તમે કંઈ પણ આપશો, “યહોવા પાસે તમને એનાથી પણ ઘણું વધારે આપવાની શક્તિ છે.” (૨ કાળ. ૨૫:૯) જેટલું બીજાઓને આપીએ છીએ, એનાથી વધારે યહોવા આપણને આપે છે. શું યહોવા કરતાં મોટું ઇનામ બીજું કોઈ આપી શકે? તો ચાલો સ્વર્ગમાંના પિતાની જેમ ઉદારતાથી આપતા રહીએ. w૨૪.૦૯ ૩૧ ¶૨૦-૨૧