બુધવાર, જાન્યુઆરી ૨૧
“તું કેમ મોડું કરે છે? ઊભો થા, બાપ્તિસ્મા લે.”—પ્રે.કા. ૨૨:૧૬.
શું તમે યહોવા ઈશ્વરને પ્રેમ કરો છો, જેમણે તમને દરેક સારી ભેટ અને જીવન આપ્યું છે? શું તમે તેમના માટેનો પ્રેમ જાહેર કરવા માંગો છો? એમ કરવાની સૌથી સારી રીત છે, તેમને પોતાનું જીવન સમર્પિત કરવું અને બાપ્તિસ્મા લેવું. એ પગલાં ભર્યા પછી તમે યહોવાના કુટુંબનો ભાગ બનશો, તેમની અમાનત બનશો. એટલે તે એક પિતા અને દોસ્ત તરીકે તમને માર્ગદર્શન આપશે અને તમારી સંભાળ રાખશે. (ગીત. ૭૩:૨૪; યશા. ૪૩:૧, ૨) વધુમાં, સમર્પણ કરવાથી અને બાપ્તિસ્મા લેવાથી તમને હંમેશ માટે જીવવાની આશા પણ મળે છે. (૧ પિત. ૩:૨૧) શું તમે કોઈ કારણને લીધે બાપ્તિસ્મા લેતાં અચકાઓ છો? જો એમ હોય, તો તમે એકલા નથી. બાપ્તિસ્મા માટે યોગ્ય થવા લાખો લોકોએ પોતાનાં વિચારો અને વાણી-વર્તનમાં ફેરફારો કર્યા છે. તેઓ હવે ખુશી ખુશી અને પૂરા ઉત્સાહથી યહોવાની ભક્તિ કરી રહ્યા છે. w૨૫.૦૩ ૨ ¶૧-૨
ગુરુવાર, જાન્યુઆરી ૨૨
“તમે લોકોને દિલથી માફ કરો છો.”—ગીત. ૧૩૦:૪.
બાઇબલમાં પાપને ઘણી વાર ભારે બોજા સાથે સરખાવ્યું છે. રાજા દાઉદ પોતાનાં પાપ વિશે આમ કહે છે: “મારાં પાપ વધીને માથે ચઢી ગયાં છે. એનો ભારે બોજ સહેવો મારા માટે મુશ્કેલ છે.” (ગીત. ૩૮:૪) પણ દિલથી પસ્તાવો કરનાર વ્યક્તિને યહોવા માફ કરે છે. (ગીત. ૨૫:૧૮; ૩૨:૫) માફી માટે હિબ્રૂમાં જે શબ્દ વપરાયો છે, એનો અર્થ થાય, “ઊંચકવું” અથવા “લઈ જવું.” એ સમજવા તમે આવી કલ્પના કરી શકો: યહોવા એક શક્તિશાળી માણસ જેવા છે, જે આપણાં પાપનો બોજો આપણા ખભા પરથી ઊંચકી લે છે અને દૂર લઈ જાય છે. યહોવા આપણાં પાપ કેટલાં દૂર લઈ જાય છે, એ સમજવા ચાલો બીજો એક દાખલો લઈએ. ગીતશાસ્ત્ર ૧૦૩:૧૨ જણાવે છે: “જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે, તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.” પૂર્વથી પશ્ચિમ એકદમ દૂર છે. એ બંને છેડા ક્યારેય મળતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, યહોવા આપણાં પાપ એટલાં દૂર લઈ જાય છે કે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. એ ખાતરી અપાવે છે કે યહોવા આપણાં પાપ પૂરી રીતે માફ કરે છે. w૨૫.૦૨ ૯ ¶૫-૬
શુક્રવાર, જાન્યુઆરી ૨૩
“જ્યારે તમે દાન કરો ત્યારે ઢંઢેરો ન પિટાવો.”—માથ. ૬:૨.
ઈસુ સ્વર્ગમાં ગયા એ પછી પ્રેરિત પિતરે એક ચમત્કાર કર્યો. તેમણે જન્મથી લંગડા માણસને સાજો કર્યો. (પ્રે.કા. ૧:૮, ૯; ૩:૨, ૬-૮) એ ચમત્કાર જોઈને ઘણા બધા લોકો પિતરની આજુબાજુ ભેગા થઈ ગયા. (પ્રે.કા. ૩:૧૧) શું પિતર એ ચમત્કારનો શ્રેય પોતાના માથે લેશે અને બડાઈ હાંકશે? જરા વિચારો, પિતરનો ઉછેર જે સમાજમાં થયો હતો, એમાં લોકો માટે માન-મોભો અને હોદ્દો બહુ મહત્ત્વના હતા. પણ પિતર માટે એવું જરાય ન હતું. તેમણે નમ્ર બનીને એ ચમત્કારનો બધો શ્રેય યહોવા અને ઈસુને આપ્યો. પિતરે કહ્યું: “ઈસુ દ્વારા અને તેમના પરની અમારી શ્રદ્ધા દ્વારા આ માણસને બળ આપવામાં આવ્યું છે, જેને તમે જુઓ છો અને જાણો છો.” (પ્રે.કા. ૩:૧૨-૧૬) પિતરના દાખલામાંથી આપણને નમ્ર રહેવા વિશે ઘણું શીખવા મળે છે. આપણે વાહ વાહ મેળવવા નહિ, પણ યહોવા અને લોકોને પ્રેમ કરીએ છીએ એટલે બીજાઓને મદદ કરીએ છીએ. ભલે લોકોના ધ્યાનમાં આવે કે ન આવે, જો આપણે ખુશી ખુશી યહોવા અને ભાઈ-બહેનોની સેવા કરીશું, તો દેખાઈ આવશે કે આપણે સાચે જ નમ્ર છીએ.—માથ. ૬:૧-૪. w૨૫.૦૩ ૧૦-૧૧ ¶૧૧-૧૨