સોમવાર, ફેબ્રુઆરી ૧૬
“અમારાં પાપ માફ કરો.”—લૂક ૧૧:૪.
આદમ-હવાએ જે ગુમાવ્યું એ આપણે પોતાની જાતે પાછું મેળવી શકતા નથી. (ગીત. ૪૯:૭-૯) મદદ વગર આપણી પાસે હંમેશ માટે જીવવાની કે મરણમાંથી જીવતા થવાની કોઈ જ આશા ન હોત. આપણું જીવન પ્રાણીઓ જેવું હોત, જેઓ પાસે ફરી જીવન મેળવવાની કોઈ આશા નથી. (સભા. ૩:૧૯; ૨ પિત. ૨:૧૨) આદમથી મળેલા પાપનું દેવું ચૂકવવા આપણા પ્રેમાળ પિતા યહોવા આપણી મદદે આવ્યા છે. એ સમજાવતા ઈસુએ કહ્યું હતું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહા. ૩:૧૬) વધુમાં, યહોવાએ પોતાના દીકરાની જે ભેટ આપી, એનાથી આપણે તેમની સાથે ગાઢ સંબંધ બાંધી શકીએ છીએ. યહોવાએ જે જોરદાર ભેટ આપી છે, એના લીધે આપણને પાપની માફી મળી શકે છે. એ ભેટમાંથી આપણને ફાયદો મળી શકે છે. w૨૫.૦૨ ૩ ¶૩-૬
મંગળવાર, ફેબ્રુઆરી ૧૭
‘પછી શાઉલ ઊઠ્યો અને તેણે બાપ્તિસ્મા લીધું.’—પ્રે.કા. ૯:૧૮.
બાપ્તિસ્માનું પગલું ભરવા શાઉલને શાનાથી મદદ મળી? જ્યારે સ્વર્ગમાંથી ઈસુએ શાઉલ સાથે વાત કરી, ત્યારે ઝળહળતા પ્રકાશને લીધે તે આંધળા થઈ ગયા. (પ્રે.કા. ૯:૩-૯) ત્રણ દિવસ સુધી તેમણે ઉપવાસ કર્યા. હાલમાં બનેલા બનાવ પર તેમણે ચોક્કસ મનન કર્યું હશે. શાઉલને પાકી ખાતરી થઈ ગઈ કે ઈસુ જ મસીહ છે અને તેમના શિષ્યો સાચી ભક્તિ કરે છે. શાઉલના દાખલામાંથી આપણને ઘણું શીખવા મળે છે. ઘમંડ અથવા માણસોના ડરને લીધે તે બાપ્તિસ્મા લેવામાં પાછી પાની કરી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. પોતાની સતાવણી થશે એ વાત જાણતા હોવા છતાં તે ખ્રિસ્તી બનવા માંગતા હતા. (પ્રે.કા. ૯:૧૫, ૧૬; ૨૦:૨૨, ૨૩) બાપ્તિસ્મા પછી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરવા તેમણે હંમેશાં યહોવા પર આધાર રાખ્યો. (૨ કોરીં. ૪:૭-૧૦) બાપ્તિસ્મા લઈને તમે યહોવાના સાક્ષી બનો એ પછી કદાચ તમારી શ્રદ્ધાની કસોટી થાય અથવા તમને સતાવવામાં આવે. પણ તમે એકલા નથી. ભરોસો રાખજો કે યહોવા અને ઈસુ ખ્રિસ્ત તમને કસોટીઓનો સામનો કરવા અને વફાદાર રહેવા ચોક્કસ મદદ કરશે.—ફિલિ. ૪:૧૩. w૨૫.૦૩ ૪ ¶૮-૯
બુધવાર, ફેબ્રુઆરી ૧૮
“હું કોઈ ધ્યેય વગર દોડતો નથી.”—૧ કોરીં. ૯:૨૬.
બાઇબલ વાંચવાનો ધ્યેય રાખવો સારું કહેવાય. પણ જો બાઇબલ વાંચનથી ફાયદો મેળવવા માંગતા હોઈએ, તો કંઈક વધારે કરવાની જરૂર છે. આ દાખલાનો વિચાર કરો: ફૂલછોડ માટે પાણી જરૂરી છે. પણ જો થોડા જ સમયમાં મુશળધાર વરસાદ પડે, તો શું થશે? બધે પાણી પાણી થઈ જશે. પણ પાણી જમીનમાં ઊંડે નહિ ઊતરે અને ફૂલછોડને વરસાદના પાણીનો ફાયદો નહિ થાય. પણ જ્યારે વરસાદ ધીરે ધીરે પડે છે, ત્યારે એ પાણી જમીનમાં ઊંડે ઊતરે છે અને એનાથી ફૂલછોડનો વિકાસ થાય છે. એવી જ રીતે, આપણે ઉતાવળે બાઇબલ વાંચવું ન જોઈએ. એમ કરીશું તો બાઇબલની વાતો દિલમાં ઊંડે ઊતરશે નહિ. એનો અર્થ થાય કે શીખેલી વાતોને યાદ રાખી નહિ શકીએ અને એને જીવનમાં લાગુ પાડી નહિ શકીએ. (યાકૂ. ૧:૨૪) શું તમને લાગે છે કે અમુક વાર તમે ફટાફટ બાઇબલ વાંચો છો? જો એમ હોય, તો શું કરી શકો? ધીરે ધીરે બાઇબલ વાંચો. આમ બાઇબલ વાંચતી વખતે અથવા વાંચી લીધા પછી એના પર મનન કરી શકશો. તમે કદાચ અભ્યાસ માટે થોડો વધારે સમય લેવાનું વિચારો, જેથી અભ્યાસ દરમિયાન મનન કરી શકો. w૨૪.૦૯ ૪ ¶૭-૯