ગુરુવાર, ફેબ્રુઆરી ૧૨
“જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો, ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.”—ગીત. ૯૪:૧૯.
જો તમને લાગતું હોય કે તમે નકામા છો, તો તમે શું કરી શકો? બાઇબલમાંથી એવી કલમો વાંચો, જે તમને ખાતરી અપાવે કે યહોવા તમને કીમતી ગણે છે. એ કલમો પર મનન કરો. કદાચ તમે કોઈ ધ્યેય પૂરો નથી કરી શક્યા અથવા યહોવાની સેવામાં બીજાઓ જેટલું નથી કરી શકતા. એ વિચારી વિચારીને તમે નિરાશ થઈ ગયા છો. હવે તમે શું કરી શકો? પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો અને જે નથી કરી શકતા, એના પર ધ્યાન ન આપો. યાદ રાખો, યહોવા તમારી પાસેથી વધારે પડતી અપેક્ષા નથી રાખતા. (ગીત. ૧૦૩:૧૩, ૧૪) જો અગાઉ તમારું શોષણ થયું હોય, તો પોતાને દોષ ન આપો. યાદ રાખો, એમાં તમારો કોઈ વાંક નથી. યહોવા એ વ્યક્તિ પાસેથી જરૂર હિસાબ માંગશે. (૧ પિત. ૩:૧૨) યહોવા તમારો ઉપયોગ કરીને બીજાઓને મદદ કરી શકે છે, એ વાત પર ક્યારેય શંકા ન કરો. યહોવાએ તમને તેમની સાથે પ્રચારમાં કામ કરવાનું સન્માન આપ્યું છે. (૧ કોરીં. ૩:૯) તમારા જીવનમાં જે ઉતાર-ચઢાવ આવ્યા છે, એના લીધે તમે કદાચ બીજાઓનું દુઃખ સહેલાઈથી સમજી શકશો અને તેઓને મદદ કરી શકશો. w૨૪.૧૦ ૭-૮ ¶૬-૭
શુક્રવાર, ફેબ્રુઆરી ૧૩
“શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે? તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે. હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે.”—લૂક ૧૮:૭, ૮.
આપણી સાથે અન્યાય થાય ત્યારે, યહોવાને ફરક પડે છે. તેમને ઘણું દુઃખ થાય છે. બાઇબલમાં લખ્યું છે: “યહોવાને ઇન્સાફ પસંદ છે.” (ગીત. ૩૭:૨૮) ઈસુ ખાતરી આપે છે કે યહોવા જલદી જ “ન્યાય અપાવશે” અને એ પણ યોગ્ય સમયે. બહુ જલદી તે આપણાં બધાં દુઃખો દૂર કરી દેશે અને અન્યાયનું નામનિશાન મિટાવી દેશે. (ગીત. ૭૨: ૧, ૨) આપણે એવા સમયની રાહ જોઈએ છીએ, જ્યારે અન્યાય હશે જ નહિ. (૨ પિત. ૩:૧૩) પણ એ સમય આવે ત્યાં સુધી યહોવા આપણને અન્યાયનો સામનો કરવા મદદ કરે છે. દાખલા તરીકે, તે આપણને શીખવે છે કે અન્યાય થાય ત્યારે કઈ રીતે વર્તવું, જેથી વાત વધારે ન બગડે. તેમણે પોતાના દીકરા ઈસુ દ્વારા શીખવ્યું છે કે અન્યાય થાય ત્યારે શું કરવું. એ સિવાય તેમણે બાઇબલમાં ઘણી સલાહ આપી છે, જે અન્યાયનો સામનો કરવા મદદ કરે છે. w૨૪.૧૧ ૩ ¶૩-૪
શનિવાર, ફેબ્રુઆરી ૧૪
“તેઓને કંઈક ખાવાનું આપો.”—માથ. ૧૪:૧૬.
ઈસુએ જે વિનંતી કરી એને પૂરી કરવામાં એક તકલીફ હતી. કેમ કે ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. સ્ત્રીઓ અને બાળકોને ગણીએ તો આશરે ૧૫,૦૦૦ લોકોને જમાડવાના હતા. (માથ. ૧૪:૨૧) આંદ્રિયાએ કહ્યું: “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?” (યોહા. ૬:૯) એ જમાનામાં લોકો મોટા ભાગે જવની રોટલી ખાતા હતા અને નાની માછલી કદાચ મીઠું લગાવીને સૂકવેલી હતી. છતાં એ જરાક અમથા ખોરાકથી આટલા બધા લોકોનું પેટ કઈ રીતે ભરાય? ઈસુ લોકોને મહેમાનગતિ બતાવવા માંગતા હતા. એટલે તેમણે તેઓને નાનાં નાનાં ટોળાંમાં લીલા ઘાસ પર આરામથી બેસવા કહ્યું. (માર્ક ૬:૩૯, ૪૦; યોહા. ૬:૧૧-૧૩) પછી તેમણે રોટલી અને માછલી લઈને ઈશ્વરનો આભાર માન્યો. એમ કરવું યોગ્ય પણ હતું, કેમ કે એ ખોરાક ઈશ્વરે જ પૂરો પાડ્યો હતો. ઈસુનો દાખલો અનુસરીને આપણે પણ જમતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કર્યા બાદ ઈસુએ પોતાના શિષ્યોને ખોરાક વહેંચી દેવા કહ્યું. બધા લોકોએ ધરાઈને ખાધું. w૨૪.૧૨ ૨-૩ ¶૩-૪