વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

      આખી દુનિયામાં દારૂa વિશે લોકોનું અલગ અલગ માનવું છે. અમુકને લાગે છે કે કોઈક વાર દોસ્તો સાથે પી શકાય. અમુક તો દારૂને હાથ પણ લગાવતા નથી. તો બીજી બાજુ અમુક લોકો એટલો પીએ છે કે પીને ચકચૂર થઈ જાય છે. પણ દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

      ૧. શું દારૂ પીવો ખોટું છે?

      બાઇબલમાં નથી જણાવ્યું કે દારૂ પીવો ખોટું છે. માણસોની ખુશી માટે યહોવાએ જે વસ્તુઓ આપી છે એમાંની એક છે, દારૂ. એટલે જ બાઇબલમાં લખ્યું છે, ‘શરાબ માણસના દિલને ખુશ કરે છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૧૪, ૧૫) બાઇબલમાં અમુક વફાદાર સ્ત્રી-પુરુષો વિશે જણાવ્યું છે, જેઓ દારૂ પીતાં હતાં.​—૧ તિમોથી ૫:૨૩.

      ૨. જેઓ દારૂ પીએ છે, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?

      યહોવાની નજરે વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું એ બંને ખોટું છે. (ગલાતીઓ ૫:૨૧) બાઇબલમાં લખ્યું છે, “વધુ પડતો દારૂ ન પીઓ.” (એફેસીઓ ૫:૧૮) એટલે આપણે એટલો દારૂ ન પીવો જોઈએ કે સારી રીતે વિચારી ન શકીએ, આપણાં વાણી-વર્તન પર કાબૂ ન રહે અથવા તંદુરસ્તીને નુકસાન પહોંચે. જ્યારે એકલા એકલા દારૂ પીતા હોઈએ, ત્યારે પણ એ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આપણે પોતાના પર કાબૂ રાખી શકતા ન હોઈએ, તો સારું રહેશે કે દારૂ પીવાનું સાવ છોડી દઈએ.

      ૩. દારૂ વિશે આપણે કઈ રીતે બીજાઓના નિર્ણયને માન આપી શકીએ?

      દારૂ પીવો કે નહિ એ વ્યક્તિનો પોતાનો નિર્ણય છે. એટલે જો કોઈ વ્યક્તિ હદમાં રહીને દારૂ પીએ, તો આપણે તેની ટીકા નહિ કરીએ. જો કોઈને દારૂ પીવો ન હોય, તો આપણે તેને પીવા દબાણ પણ નહિ કરીએ. (રોમનો ૧૪:૧૦) જો આપણા પીવાથી કોઈને ઠોકર લાગતી હોય, તો તેની લાગણીઓને માન આપીને આપણે દારૂ પીવાનું ટાળી શકીએ. (રોમનો ૧૪:૨૧ વાંચો.) બાઇબલમાં લખ્યું છે તેમ, “દરેકે પોતાનો જ નહિ, બીજાના ફાયદાનો પણ વિચાર કરવો જોઈએ.”​—૧ કોરીંથીઓ ૧૦:૨૩, ૨૪ વાંચો.

      વધારે જાણો

      દારૂ પીવો કે નહિ અને કેટલો પીવો એ નક્કી કરવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે? જો દારૂની લત પડી ગઈ હોય, તો એ કઈ રીતે છોડી શકાય? ચાલો જોઈએ.

      ૪. દારૂ પીવો કે નહિ એ નિર્ણય કઈ રીતે લઈ શકીએ?

      દારૂ પીવા વિશે ઈસુ શું વિચારતા હતા? એનો જવાબ જાણવા, ચાલો ઈસુએ કરેલા પહેલા ચમત્કાર વિશે વાંચીએ. યોહાન ૨:૧-૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • દારૂ અને દારૂ પીનારા લોકો વિશે ઈસુ શું વિચારતા હતા?

      • ઈસુએ દારૂ પીનારા લોકોની ટીકા ન કરી. તો પછી દારૂ પીતા લોકો પ્રત્યે યહોવાના ભક્તોએ કેવું વલણ રાખવું જોઈએ?

      ખ્રિસ્તીઓ દારૂ પી શકે છે, પણ એનો અર્થ એવો નથી કે તેઓ મન ફાવે ત્યારે પીએ. નીતિવચનો ૨૨:૩ વાંચો. પછી વિચારો કે શું અહીં આપેલા સંજોગોમાં તમે દારૂ પીશો:

      • તમારે ગાડી ચલાવવાની છે અથવા કોઈ મશીન પર કામ કરવાનું છે.

      • તમે ગર્ભવતી છો.

      • ડૉક્ટરે તમને દારૂ પીવાની મના કરી છે.

      • તમે એક વાર પીવાનું શરૂ કરી દો, પછી પોતાના પર કાબૂ રાખી શકતા નથી.

      • તમે જ્યાં રહો છો, ત્યાંના કાયદા-કાનૂન દારૂ પીવાની પરવાનગી આપતા નથી.

      • તમારી સાથે કોઈ એવી વ્યક્તિ છે, જેણે બહુ મુશ્કેલીથી દારૂ પીવાનું છોડ્યું છે.

      શું લગ્‍નપ્રસંગે અથવા બીજી કોઈ મિજબાનીમાં દારૂ પીરસવો જોઈએ? એ નિર્ણય લેવા તમને શાનાથી મદદ મળશે? વીડિયો જુઓ.

      વીડિયો: શું મારે દારૂ પીરસવો જોઈએ? (૨:૪૧)

      રોમનો ૧૩:૧૩ અને ૧ કોરીંથીઓ ૧૦:૩૧, ૩૨ વાંચો. દરેક કલમ વાંચ્યા પછી આ સવાલની ચર્ચા કરો:

      • યોગ્ય નિર્ણય લેવા આ સિદ્ધાંત તમને કઈ રીતે મદદ કરી શકે?

      હોટલમાં એક ભાઈ વાઈન પીવાની ના પાડે છે. તેમની સાથે જમવા આવેલાં બહેનો વાઈન પી રહ્યાં છે.

      યહોવાનો ભક્ત પોતે નિર્ણય લે છે કે તે દારૂ પીશે કે નહિ. તે કોઈક વાર દારૂ પીતો હોય તોપણ, અમુક સંજોગોમાં ન પીવાનો નિર્ણય લે

      ૫. તમે કેટલો દારૂ પીશો એ નક્કી કરો

      યાદ રાખો, યહોવાની નજરે દારૂ પીવો એ ખોટું નથી, પણ વધુ પડતો પીવો એ ખોટું છે. શા માટે? હોશિયા ૪:૧૧, ૧૮ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • વધુ પડતો દારૂ પીવાથી શું થઈ શકે?

      વધુ પડતો દારૂ ન પીવા આપણે શું કરવું જોઈએ? આપણે મર્યાદામાં રહેવું જોઈએ, એટલે કે પોતાની હદ પારખવી જોઈએ. નીતિવચનો ૧૧:૨ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • તમે કેટલો દારૂ પીશો એ નક્કી કરવું કેમ જરૂરી છે?

      ૬. દારૂની લત કઈ રીતે છોડી શકાય?

      દીમિત્રી નામના ભાઈ પહેલાં બહુ દારૂ પીતા હતા. તે કઈ રીતે એ લત છોડી શક્યા? વીડિયો જુઓ. પછી આ સવાલોની ચર્ચા કરો.

      વીડિયો: ‘મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો’ (૬:૩૨)

      ચિત્ર: ‘મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો’ વીડિયોનાં દૃશ્ય. ૧. દીમિત્રી હાથમાં દારૂની બોટલ લઈને એની સામે જુએ છે. ૨. દીમિત્રી તેમની પત્ની અને દીકરી સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરે છે.
      • દારૂ પીધા પછી દીમિત્રીનું વર્તન કેવું થઈ જતું?

      • શું તે તરત જ દારૂની લત છોડી શક્યા?

      • તેમને એ લત છોડવા ક્યાંથી મદદ મળી?

      ૧ કોરીંથીઓ ૬:​૧૦, ૧૧ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • યહોવાની નજરે દારૂડિયાપણું કેટલું ગંભીર છે?

      • દારૂની લત છૂટી શકે છે, એવું શાના આધારે કહી શકીએ?

      માથ્થી ૫:૩૦ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • ઈસુએ હાથ કાપીને ફેંકી દેવાનું ઉદાહરણ આપ્યું ત્યારે, તે કહેવા માંગતા હતા કે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા કદાચ કંઈક જતું કરવું પડે. જો દારૂની લત છોડવી તમારા માટે અઘરું હોય, તો તમે શું કરી શકો?b

      ૧ કોરીંથીઓ ૧૫:૩૩ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • જો તમારી દોસ્તી એવા લોકો સાથે હોય જેઓ વધુ પડતો દારૂ પીએ છે, તો એની તમારા પર શું અસર પડશે?

      અમુક લોકો કહે છે: “દારૂ પીવો ખોટું છે.”

      • તમે શું કહેશો?

      આપણે શીખી ગયા

      માણસોની ખુશી માટે યહોવાએ જે વસ્તુઓ આપી છે, એમાંની એક દારૂ છે. પણ યહોવાની નજરે વધુ પડતો દારૂ પીવો અને દારૂડિયાપણું એ બંને ખોટું છે.

      તમે શું કહેશો?

      • દારૂ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?

      • વધુ પડતો દારૂ પીવાનાં જોખમો કયાં છે?

      • દારૂ વિશે આપણે કઈ રીતે બીજાઓના નિર્ણયને માન આપી શકીએ?

      આટલું કરો

      વધારે માહિતી

      યુવાનો કઈ રીતે દારૂ પીવા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે?

      દારૂની મજા, બગાડે તમારી દશા (૨:૩૧)

      દારૂની લત છોડવા તમે કયાં પગલાં ભરી શકો? આ લેખમાં વાંચો.

      “દારૂના બંધનમાં ફસાતા નહિ” (ચોકીબુરજ, ફેબ્રુઆરી ૧, ૨૦૧૦)

      મમ્મી-પપ્પાએ ક્યારે અને કઈ રીતે પોતાનાં બાળકો સાથે દારૂ વિશે વાત કરવી જોઈએ?

      “બાળકો સાથે દારૂ વિશે વાત કરો” (jw.org/gu પર આપેલો લેખ)

      “હું દારૂને કદી ના ન કહેતો” લેખમાં એક ભાઈનો અનુભવ વાંચો. જાણો કે તે કઈ રીતે દારૂની લત છોડી શક્યા.

      “પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે” (ચોકીબુરજનો લેખ)

      a આ લેખમાં “દારૂ” અને “શરાબ” આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંને રજૂ કરે છે, જેમ કે બીયર, વાઈન અને વ્હીસ્કી. ધ્યાન આપો, અમુક જગ્યાએ દારૂ પીવા પર સરકારનો પ્રતિબંધ હોય છે. એવા કિસ્સામાં ઈશ્વરભક્તો એ નિયમને માન આપશે અને પાળશે.

  • આપણે કેમ પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
    • પાઠ ૫૨. એક છોકરી કયાં કપડાં ખરીદવાં એનો વિચાર કરે છે.

      પાઠ ૫૨

      આપણે કેમ પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ?

      દરેકને મનગમતાં કપડાં પહેરવાનું અને તૈયાર થવાનું ગમે છે. બાઇબલમાં એ વિશે અમુક સિદ્ધાંતો આપ્યા છે. જો આપણે એ પાળીશું, તો પોતાની પસંદનાં કપડાં પહેરી શકીશું અને યહોવાને પણ માન આપી શકીશું. ચાલો અમુક સિદ્ધાંતો જોઈએ.

      ૧. પહેરવેશ અને શણગાર વિશે આપણે કયા સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જોઈએ?

      આપણે ‘મર્યાદા અને સમજદારી રાખીને શોભતાં કપડાં’ પહેરવાં જોઈએ અને ચોખ્ખા રહેવું જોઈએ. એમ કરીશું તો લોકો જોઈ શકશે કે આપણે સાચા “ઈશ્વરની ભક્તિ” કરીએ છીએ. (૧ તિમોથી ૨:૯, ૧૦) ચાલો આ ચાર સિદ્ધાંતો જોઈએ. (૧) આપણાં કપડાં “શોભતાં” હોવાં જોઈએ. તમે જોયું હશે કે આપણી સભાઓમાં ભાઈ-બહેનો ભાતભાતનાં કપડાં પહેરે છે અને જુદી જુદી સ્ટાઈલમાં વાળ ઓળવે છે. પણ તેઓના શણગારથી સાફ દેખાઈ આવે છે કે તેઓ યહોવાને માન આપે છે. (૨) આપણા પહેરવેશ અને શણગારમાં “મર્યાદા” હોવી જોઈએ. એટલે આપણે એવાં કપડાં નહિ પહેરીએ, જેનાથી લોકોનાં મનમાં ગંદા વિચારો આવે અથવા તેઓનું ધ્યાન આપણા તરફ ખેંચાય. (૩) આપણે “સમજદારી” રાખવી જોઈએ. રોજેરોજ નવી ફેશન આવે છે. પણ એનો અર્થ એ નથી કે આપણે આંખો મીંચીને એ ફેશન અપનાવી લઈએ. (૪) આપણા પહેરવેશ અને શણગારથી લોકોને દેખાઈ આવવું જોઈએ કે આપણે સાચા “ઈશ્વરની ભક્તિ” કરીએ છીએ.—૧ કોરીંથીઓ ૧૦:૩૧.

      ૨. કપડાં અને શણગારની પસંદગી કરતી વખતે આપણે કેમ ભાઈ-બહેનોનો વિચાર કરવો જોઈએ?

      દરેકને પોતાની પસંદ પ્રમાણે કપડાં પહેરવાનું અને તૈયાર થવાનું ગમે છે. પણ આપણે વિચારવું જોઈએ કે આપણાં કપડાં અને શણગારથી ભાઈ-બહેનોને કેવું લાગશે. આપણે કોઈને ઠેસ પહોંચાડવા માંગતા નથી. એના બદલે, બાઇબલની આ સલાહ પાળવા મહેનત કરીએ છીએ: “આપણે પોતાના પડોશીનું ભલું કરીને તેને ખુશ કરીએ, જેથી તે દૃઢ થાય.”—રોમનો ૧૫:૧, ૨ વાંચો.

      ૩. આપણો પહેરવેશ અને દેખાવ જોઈને કઈ રીતે લોકોને યહોવા વિશે શીખવાનું મન થાય છે?

      આપણે પ્રસંગ અનુસાર અલગ અલગ કપડાં પહેરીએ છીએ. એ શોભતાં અને વ્યવસ્થિત હોય એનું પણ ધ્યાન રાખીએ છીએ. પણ સભાઓ અને પ્રચારમાં જઈએ છીએ ત્યારે તો પહેરવેશ અને દેખાવનું ખાસ ધ્યાન રાખીએ છીએ. કેમ કે આપણે નથી ચાહતા કે લોકોનું ધ્યાન ઈશ્વરના સંદેશાથી ફંટાઈને આપણા પર જાય. એના બદલે, આપણે ચાહીએ છીએ કે આપણો દેખાવ જોઈને લોકોને ઈશ્વર વિશે શીખવાનું મન થાય અને ‘આપણા તારણહાર ઈશ્વરના શિક્ષણની સુંદરતા વધે.’—તિતસ ૨:૧૦.

      વધારે જાણો

      આપણે પોતાના પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ, જેથી બીજાઓ જોઈ શકે કે આપણે યહોવાના ભક્તો છીએ. એવું કઈ રીતે કરી શકીએ? ચાલો જોઈએ.

      બે માણસો ન્યાયાધીશ સામે ઊભા છે. એક માણસે કોટ અને ટાઈ પહેર્યાં છે. બીજા માણસે ફાટેલું જીન્સ, બેઝબોલની ટોપી અને લઘરવઘર કપડાં પહેર્યાં છે.

      આપણાં કપડાં અને દેખાવ બતાવી આપે છે કે આપણે અધિકારીઓને માન આપીએ છીએ કે નહિ. એ સાચું છે કે યહોવા દિલ જુએ છે, પણ આપણાં કપડાં અને દેખાવ એવાં હોવાં જોઈએ કે તેમને માન મળે

      ૪. આપણા દેખાવથી યહોવાને માન મળે છે

      આપણે કેમ પોતાના દેખાવનું ધ્યાન રાખવું જોઈએ? એનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? ગીતશાસ્ત્ર ૪૭:૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • આપણે યહોવાના નામથી ઓળખાઈએ છીએ. જો એ વાત યાદ રાખીશું, તો પહેરવેશ અને દેખાવને લઈને કેવો નિર્ણય લઈશું?

      • શું તમને લાગે છે કે સભાઓ અને પ્રચારમાં જઈએ ત્યારે, પહેરવેશ અને દેખાવનું ધ્યાન રાખવું જોઈએ? તમને એવું કેમ લાગે છે?

      ૫. પહેરવેશ અને દેખાવ વિશે કઈ રીતે સારો નિર્ણય લઈ શકીએ?

      વીડિયો જુઓ.

      વીડિયો: “બધું ઈશ્વરના મહિમા માટે કરો” (૧૦:૧૮)

      ભલે આપણાં કપડાં મોંઘાં હોય કે સસ્તાં હોય, આપણે ધ્યાન રાખીશું કે એ ચોખ્ખાં અને પ્રસંગ પ્રમાણે યોગ્ય હોય. ૧ કોરીંથીઓ ૧૦:૨૪ અને ૧ તિમોથી ૨:૯, ૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • આપણે કેમ લઘરવઘર, ગંદાં અથવા પ્રસંગને યોગ્ય ન હોય એવાં કપડાં પહેરવાં ન જોઈએ?

      • આપણે કેમ ટાઇટ, અંગપ્રદર્શન કરતા કે જાતીય વાસના ભડકાવે એવાં કપડાં પહેરવાં ન જોઈએ?

      ભલે આપણે મૂસાનું નિયમશાસ્ત્ર નથી પાળતા, પણ એનાથી યહોવાના વિચારો જાણી શકીએ છીએ. પુનર્નિયમ ૨૨:૫ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

      • આપણે કેમ એવો પહેરવેશ અને શણગાર ટાળવો જોઈએ, જેના લીધે પુરુષ સ્ત્રી જેવો લાગે અને સ્ત્રી પુરુષ જેવી લાગે?

      ૧ કોરીંથીઓ ૧૦:૩૨, ૩૩ અને ૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

      • આપણે કેમ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણા દેખાવથી આજુબાજુના લોકોને અથવા મંડળનાં ભાઈ-બહેનોને ઠેસ ન પહોંચે?

      • તમારા વિસ્તારમાં લોકો કેવી સ્ટાઇલનાં કપડાં પહેરે છે અને કેવો શણગાર કરે છે?

      • શું તમને લાગે છે કે એમાંની અમુક સ્ટાઇલ યહોવાના ભક્તોને શોભા નહિ આપે? તમને એવું કેમ લાગે છે?

      આપણે પ્રસંગ પ્રમાણે અલગ અલગ સ્ટાઇલનાં કપડાં પહેરી શકીએ છીએ અને એનાથી યહોવાને પણ માન મળે છે

      અલગ અલગ ઉંમર, જાતિ અને દેશનાં સ્ત્રી અને પુરુષોએ ભાતભાતનાં કપડાં પહેર્યાં છે. તેઓની હેર-સ્ટાઇલ પણ જુદી જુદી છે.

      અમુક લોકો કહે છે: “હું ગમે એવાં કપડાં પહેરું, મારી મરજી.”

      • શું તમને પણ એવું લાગે છે? શા માટે?

      આપણે શીખી ગયા

      જ્યારે આપણે પહેરવેશ અને શણગાર વિશે સારા નિર્ણયો લઈએ છીએ, ત્યારે યહોવાને અને બીજાઓને માન આપીએ છીએ.

      તમે શું કહેશો?

      • યહોવા કેમ ચાહે છે કે આપણાં કપડાં અને શણગાર યોગ્ય હોય?

      • કપડાં અને શણગાર વિશે સારો નિર્ણય લેવા બાઇબલના કયા સિદ્ધાંતો મદદ કરે છે?

      • આપણો પહેરવેશ અને દેખાવ જોઈને કઈ રીતે લોકોને યહોવા વિશે શીખવાનું મન થાય છે?

      આટલું કરો

      વધારે માહિતી

      તમારાં કપડાં જોઈને બીજાઓ તમારા વિશે શું વિચારે છે? આ લેખમાં વાંચો.

      “મને કેવાં કપડાં ગમે છે?” (jw.org/gu પર આપેલો લેખ)

      ટૅટુ કરાવતા પહેલાં એનાં પરિણામો વિશે વિચારવું કેમ જરૂરી છે? આ લેખમાં વાંચો.

      “ટૅટુ વિશે બાઇબલ શું કહે છે?” (jw.org/gu પર આપેલો લેખ)

      બાઇબલના સિદ્ધાંતો પર ધ્યાન આપો, જે તમને દેખાવ વિશે યોગ્ય વલણ રાખવા મદદ કરશે.

      મારા દેખાવ વિશે મને કેમ ચિંતા થાય છે? (૪:૨૯)

      એક સ્ત્રીએ ઈશ્વરની ભક્તિ કરવી હતી. પણ દરેકને પોતાની પસંદનાં કપડાં પહેરવાનો હક છે, એ વાત તેના ગળે ઊતરતી ન હતી. જાણો કે તેના વિચારો કઈ રીતે બદલાયા.

      “પહેરવેશ અને શણગાર મારા માર્ગમાં કાંટા જેવા હતા” (સજાગ બનો!નો લેખ)

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો