શુક્રવાર, સપ્ટેમ્બર ૪
“યહોવા આડા માણસને ધિક્કારે છે, પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.”—નીતિ. ૩:૩૨.
પોતાના દિલમાં પણ સાચું બોલવું કેમ જરૂરી છે, એ વાત બાઇબલના એક અહેવાલથી સારી રીતે સમજાય છે. જ્યારે ફિલિપ પોતાના મિત્ર નથાનિયેલને ઈસુ પાસે લાવ્યા, ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ઈસુ પહેલાં ક્યારેય નથાનિયેલને મળ્યા ન હતા, તોપણ ઈસુએ કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.” (યોહા. ૧:૪૭) ઈસુએ નથાનિયેલમાં કંઈક ખાસ જોયું. નથાનિયેલથી પણ ભૂલો થતી હતી. જોકે, તે ઢોંગ કરતા ન હતા. તે દરેક વાતમાં પ્રમાણિક હતા. ઈસુને તેમની એ વાત ખૂબ ગમી અને એ માટે તેમના વખાણ કર્યા. ગીતશાસ્ત્ર ૧૫માં યહોવાને ખુશ કરવા શું કરવું જોઈએ, એ વિશે જણાવ્યું છે. એટલું જ નહિ, બીજાઓ સાથે કઈ રીતે વર્તવું એ પણ જણાવ્યું છે. કલમ ૩માં લખ્યું છે કે યહોવાનો મહેમાન “પોતાની જીભે નિંદા કરતો નથી, પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.” નિંદા કરવાનાં ખરાબ પરિણામો આવી શકે છે. આપણે બીજાઓને નુકસાન પહોંચાડી શકીએ છીએ.—યાકૂ. ૧:૨૬. w૨૪.૦૬ ૧૦ ¶૭, ૯; ૧૧ ¶૧૦
શનિવાર, સપ્ટેમ્બર ૫
“માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.”—લૂક ૧૦:૧૭.
જો પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીશું, તો લોકો સાથે શાંતિથી વાત કરી શકીશું અને ડર નહિ લાગે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં સારી તૈયારી કરવા મદદ કરી હતી. તેમણે તેઓને અમુક સલાહ-સૂચનો આપ્યાં હતાં. (લૂક ૧૦:૧-૧૧) શિષ્યોએ ઈસુની વાત માની ત્યારે તેઓને સારાં પરિણામ મળ્યાં અને પ્રચારકામમાં વધારે ખુશી મળી. પણ કઈ રીતે સારી તૈયારી કરી શકીએ? પહેલેથી વિચારી શકીએ કે લોકો સાથે કયા વિષય પર વાત કરીશું અને કઈ રીતે તેઓને સાદા શબ્દોમાં સમજાવીશું. એ વિશે પણ વિચારી શકીએ કે આપણી વાત સાંભળીને લોકો શું કહેશે, કેવા સવાલો પૂછશે અને જવાબમાં આપણે શું કહીશું. પછી પ્રચાર કરતી વખતે ચહેરા પર એક સ્માઈલ રાખીએ, ગભરાઈએ નહિ અને પ્રેમથી વાત કરીએ. w૨૪.૦૪ ૧૫-૧૬ ¶૬-૭
રવિવાર, સપ્ટેમ્બર ૬
“હે યહોવા અમારા ભગવાન! મહિમા, માન અને શક્તિ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.”—પ્રકટી. ૪:૧૧.
લોકોને ખુશખબર જણાવવાનું સૌથી મહત્ત્વનું કારણ છે, યહોવા અને તેમના પવિત્ર નામ માટેનો પ્રેમ. પ્રચાર કરીને આપણે યહોવા ઈશ્વરનો જયજયકાર કરીએ છીએ. આપણે પૂરા દિલથી માનીએ છીએ કે યહોવા ઈશ્વર જ મહિમા, માન અને શક્તિ મેળવવા યોગ્ય છે. જ્યારે લોકોને ઠોસ પુરાવા આપીએ છીએ કે યહોવાએ જ “બધી વસ્તુઓ બનાવી” છે, ત્યારે આપણે તેમને મહિમા અને માન આપીએ છીએ. જ્યારે પ્રચારમાં બનતું બધું કરવા પોતાનાં સમય, તાકાત અને ધનસંપત્તિનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તેમને શક્તિ આપીએ છીએ. (માથ. ૬:૩૩; લૂક ૧૩:૨૪; કોલો. ૩:૨૩) ટૂંકમાં, આપણે ઈશ્વરને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે તેમના વિશે બીજાઓને જણાવીએ છીએ. તેમના નામ વિશે અને તે કેવા ઈશ્વર છે એ વિશે જણાવવાનું પણ મન થાય છે. w૨૪.૦૫ ૧૭ ¶૧૧