ગુરુવાર, સપ્ટેમ્બર ૩
“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.
આપણને સો ટકા ખાતરી છે કે યહોવા લોકોનો ન્યાય કરે છે ત્યારે, હંમેશાં યોગ્ય નિર્ણય લે છે. ઇબ્રાહિમની જેમ આપણે પણ જાણીએ છીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ યહોવા બુદ્ધિશાળી અને દયાળુ છે તેમજ જે ખરું હોય એ જ કરે છે. યહોવાએ પોતાના દીકરા ઈસુને પણ એ રીતે ન્યાય કરવાનું શીખવ્યું છે. તેમણે ન્યાય કરવાની બધી જવાબદારી ઈસુને સોંપી છે. (યોહા. ૫:૨૨) યહોવા અને ઈસુ લોકોનાં દિલમાં શું છે એ જોઈ શકે છે, તેઓના વિચારો જાણી શકે છે. (માથ. ૯:૪) એટલે દરેકનો ન્યાય કરતી વખતે તેઓ હંમેશાં ‘એ જ કરશે જે ખરું છે!’ તો ચાલો મનમાં ગાંઠ વાળીએ કે હંમેશાં યહોવા પર અને તેમના નિર્ણયો પર ભરોસો રાખીશું. આપણે સ્વીકારીએ છીએ કે આપણે લોકોનો ન્યાય નથી કરી શકતા, ફક્ત યહોવા કરી શકે છે. (યશા. ૫૫:૮, ૯) એટલે ન્યાય કરવાનું કામ યહોવા અને તેમના દીકરા ઈસુના હાથમાં છોડી દઈએ. આપણા રાજા ઈસુ આબેહૂબ તેમના પિતા જેવા છે. તે પણ સાચો ન્યાય કરશે અને દયા બતાવશે.—યશા. ૧૧:૩, ૪. w૨૪.૦૫ ૭ ¶૧૮-૧૯
શુક્રવાર, સપ્ટેમ્બર ૪
“યહોવા આડા માણસને ધિક્કારે છે, પણ સીધા માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.”—નીતિ. ૩:૩૨.
પોતાના દિલમાં પણ સાચું બોલવું કેમ જરૂરી છે, એ વાત બાઇબલના એક અહેવાલથી સારી રીતે સમજાય છે. જ્યારે ફિલિપ પોતાના મિત્ર નથાનિયેલને ઈસુ પાસે લાવ્યા, ત્યારે શું બન્યું એનો વિચાર કરો. ઈસુ પહેલાં ક્યારેય નથાનિયેલને મળ્યા ન હતા, તોપણ ઈસુએ કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.” (યોહા. ૧:૪૭) ઈસુએ નથાનિયેલમાં કંઈક ખાસ જોયું. નથાનિયેલથી પણ ભૂલો થતી હતી. જોકે, તે ઢોંગ કરતા ન હતા. તે દરેક વાતમાં પ્રમાણિક હતા. ઈસુને તેમની એ વાત ખૂબ ગમી અને એ માટે તેમના વખાણ કર્યા. ગીતશાસ્ત્ર ૧૫માં યહોવાને ખુશ કરવા શું કરવું જોઈએ, એ વિશે જણાવ્યું છે. એટલું જ નહિ, બીજાઓ સાથે કઈ રીતે વર્તવું એ પણ જણાવ્યું છે. કલમ ૩માં લખ્યું છે કે યહોવાનો મહેમાન “પોતાની જીભે નિંદા કરતો નથી, પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી અને પોતાના દોસ્તોને બદનામ કરતો નથી.” નિંદા કરવાનાં ખરાબ પરિણામો આવી શકે છે. આપણે બીજાઓને નુકસાન પહોંચાડી શકીએ છીએ.—યાકૂ. ૧:૨૬. w૨૪.૦૬ ૧૦ ¶૭, ૯; ૧૧ ¶૧૦
શનિવાર, સપ્ટેમ્બર ૫
“માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.”—લૂક ૧૦:૧૭.
જો પ્રચારમાં જતા પહેલાં સારી તૈયારી કરીશું, તો લોકો સાથે શાંતિથી વાત કરી શકીશું અને ડર નહિ લાગે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રચારમાં મોકલતા પહેલાં સારી તૈયારી કરવા મદદ કરી હતી. તેમણે તેઓને અમુક સલાહ-સૂચનો આપ્યાં હતાં. (લૂક ૧૦:૧-૧૧) શિષ્યોએ ઈસુની વાત માની ત્યારે તેઓને સારાં પરિણામ મળ્યાં અને પ્રચારકામમાં વધારે ખુશી મળી. પણ કઈ રીતે સારી તૈયારી કરી શકીએ? પહેલેથી વિચારી શકીએ કે લોકો સાથે કયા વિષય પર વાત કરીશું અને કઈ રીતે તેઓને સાદા શબ્દોમાં સમજાવીશું. એ વિશે પણ વિચારી શકીએ કે આપણી વાત સાંભળીને લોકો શું કહેશે, કેવા સવાલો પૂછશે અને જવાબમાં આપણે શું કહીશું. પછી પ્રચાર કરતી વખતે ચહેરા પર એક સ્માઈલ રાખીએ, ગભરાઈએ નહિ અને પ્રેમથી વાત કરીએ. w૨૪.૦૪ ૧૫-૧૬ ¶૬-૭