શુક્રવાર, ઑગસ્ટ ૨૮
“તમે તમારો હાથ ખોલીને બધાની ઇચ્છા પૂરી કરો છો.”—ગીત. ૧૪૫:૧૬.
યહોવાની જેમ આપણે પણ પ્રેમને લીધે ભાઈ-બહેનોની જરૂરિયાતો પૂરી કરી શકીએ. દાખલા તરીકે, શું તમે એવા કોઈ ભાઈ કે બહેનને ઓળખો છો, જેમને ખોરાક કે કપડાંની જરૂર હોય? યહોવા તમારા દ્વારા તેમની એ જરૂરિયાત પૂરી કરી શકે છે. કોઈ આફત આવે ત્યારે પણ યહોવાના લોકો બીજાઓને મદદ કરવા તત્પર હોય છે. દાખલા તરીકે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન ભાઈ-બહેનોએ કપડાં, ખોરાક અને બીજી વસ્તુઓ આપી, જેથી જેઓને જરૂર હોય તેઓને મદદ મળી રહે. ઘણાં ભાઈ-બહેનોએ દુનિયા ફરતેના કામ માટે ઉદારતાથી દાન આપ્યું હતું. એ દાનની મદદથી આખી પૃથ્વી પર રાહતકામ શક્ય બન્યું. એ ઉદાર ભાઈ-બહેનોએ હિબ્રૂઓ ૧૩:૧૬ની સલાહ લાગુ પાડી હતી. ત્યાં લખ્યું છે: “ભલું કરવાનું અને તમારી વસ્તુઓથી બીજાઓને મદદ કરવાનું ભૂલશો નહિ, કેમ કે એવાં બલિદાનોથી ઈશ્વર ઘણા ખુશ થાય છે.” w૨૪.૦૯ ૨૭ ¶૬-૭
શનિવાર, ઑગસ્ટ ૨૯
“જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખી લો.”—ફિલિ. ૧:૧૦.
આ સંજોગનો વિચાર કરો: કુટુંબનું ગુજરાન ચલાવવા તમે નોકરી શોધી રહ્યા છો. તમને બે જગ્યાએ નોકરી મળી શકે એમ છે. તમે બધી માહિતીનો વિચાર કરો છો, જેમ કે કયું કામ કરવાનું છે, નોકરીમાં કેટલો સમય આપવો પડશે, આવવા-જવામાં કેટલો સમય લાગશે વગેરે. બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે એ બંને નોકરી કરવામાં કંઈ ખોટું નથી. તમે બંને પસંદગીઓને ત્રાજવામાં તોળો છો. એક નોકરીનું પલડું ભારે છે, કેમ કે એ કામ તમને ગમે છે અથવા ત્યાં વધારે પગાર મળે છે. પણ નિર્ણય લેતા પહેલાં તમારે બીજી અમુક બાબતોનો વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે, કઈ નોકરીને લીધે તમે મંડળની અમુક સભાઓ ચૂકી જશો? જો તમારો મોટા ભાગનો સમય નોકરીમાં જતો રહેશે, તો કુટુંબને કઈ રીતે સમય આપી શકશો? તેઓને કઈ રીતે હૂંફ આપી શકશો? તેઓને ખુશ રાખવા અને યહોવાની નજીક રહેવા કઈ રીતે મદદ કરી શકશો? એવા સવાલોનો વિચાર કરવાથી તમે વધારે પૈસા કમાવા પર નહિ, પણ યહોવાની ભક્તિ અને કુટુંબની જરૂરિયાતો પર ધ્યાન આપી શકશો. એ જ તો “વધારે મહત્ત્વનું છે.” આમ, તમે એવો નિર્ણય લઈ શકશો, જેને યહોવા સફળ બનાવશે. w૨૫.૦૧ ૧૭ ¶૧૧-૧૩
રવિવાર, ઑગસ્ટ ૩૦
“દુઃખી લોકોના પડખે યહોવા છે.”—ગીત. ૩૪:૧૮.
ભલે બીજાઓ તમારી સાથે ખરાબ રીતે વર્ત્યા હોય, પણ તમે ખાતરી રાખી શકો કે યહોવા તમને પ્રેમ કરે છે અને કીમતી ગણે છે. જો તમારું મન ‘કચડાઈ’ ગયું હોય, તો યાદ રાખો કે યહોવાએ તમારામાં કંઈક સારું જોયું છે અને તમને પોતાની તરફ ખેંચ્યા છે. (યોહા. ૬:૪૪) તમે યહોવાની આંખના તારા છો, એટલે તે તમને મદદ કરવા હંમેશાં તૈયાર છે. યહોવા આપણને કેટલા અનમોલ ગણે છે, એ સમજવા ચાલો જોઈએ કે ઈસુ બીજાઓ સાથે કઈ રીતે વર્ત્યા હતા. ઘણા લોકો બીજાઓને ઊતરતા ગણતા હતા, પણ ઈસુએ તેઓને દયા બતાવી. (માથ. ૯:૯-૧૨) એક સ્ત્રીને મોટી બીમારી હતી. સાજા થવાની આશાએ તે ઈસુ પાસે આવી અને તેમના ઝભ્ભાને અડકી. ઈસુએ તેને દિલાસો આપ્યો અને તેની જોરદાર શ્રદ્ધાને લીધે તેના વખાણ કર્યા. (માર્ક ૫:૨૫-૩૪) ઈસુમાં તેમના પિતા જેવા જ ગુણો છે. (યોહા. ૧૪:૯) એટલે તમે ખાતરી રાખી શકો કે યહોવા તમને અનમોલ ગણે છે અને તમારા સારા ગુણો પર ધ્યાન આપે છે. તે જુએ છે કે તમારી શ્રદ્ધા કેટલી મજબૂત છે અને તમે તેમને કેટલો પ્રેમ કરો છો. w૨૪.૧૦ ૭ ¶૪-૫