મંગળવાર, સપ્ટેમ્બર ૧
“તમે શ્રદ્ધાથી જીવો છો કે નહિ, એની પરખ કરતા રહો.”—૨ કોરીં. ૧૩:૫.
આપણે પરિપક્વ બનવા અત્યાર સુધી ઘણી મહેનત કરી હશે. પણ પરિપક્વ બની રહેવા મહેનત કરતા રહેવાનું છે. આપણે ક્યારેય આવું ન વિચારીએ: ‘યહોવા સાથે મારો સંબંધ એકદમ મજબૂત છે. હું પરિપક્વ છું, એટલે હવે મારે કંઈ કરવાની જરૂર નથી.’ (૧ કોરીં. ૧૦:૧૨) એના બદલે, ‘પરખ કરતા રહેવું જોઈએ’ કે શું આપણો યહોવા સાથેનો સંબંધ ગાઢ થઈ રહ્યો છે. કોલોસેનાં ભાઈ-બહેનોને પત્ર લખ્યો ત્યારે પ્રેરિત પાઉલે ફરી એક વાર પરિપક્વ બની રહેવા પર ભાર મૂક્યો. એ ભાઈ-બહેનો પરિપક્વ હતાં. તોપણ પાઉલે તેઓને ચેતવણી આપી કે તેઓ દુનિયાના વિચારોથી છેતરાઈ ન જાય. (કોલો. ૨:૬-૧૦) તેમણે પોતાના પત્રમાં એપાફ્રાસ વિશે જણાવ્યું, જે કદાચ કોલોસેનાં ભાઈ-બહેનોને સારી રીતે ઓળખતા હતા. એપાફ્રાસ સતત પ્રાર્થના કરતા હતા કે ભાઈ-બહેનો ‘પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહે.’ (કોલો. ૪:૧૨) પાઉલ અને એપાફ્રાસ પાસેથી આપણે શું શીખી શકીએ? તેઓ સારી રીતે જાણતા હતા કે પરિપક્વ બની રહેવા ઈશ્વરની મદદની જરૂર છે અને દરેકે મહેનત કરતા રહેવાની જરૂર છે. તેઓ ચાહતા હતા કે કોલોસેનાં ભાઈ-બહેનો પણ મુશ્કેલીઓ છતાં પરિપક્વ બની રહેવા પ્રયત્ન કરતા રહે. w૨૪.૦૪ ૬-૭ ¶૧૬-૧૭
બુધવાર, સપ્ટેમ્બર ૨
“યહોવા આપણી સાથે છે. તેઓથી ગભરાશો નહિ.”—ગણ. ૧૪:૯.
યહોવાનો ડર રાખવાનો અર્થ શું થાય? એનો અર્થ થાય કે આપણે યહોવાને એટલો બધો પ્રેમ કરીએ છીએ કે તેમને દુઃખ થાય એવું કંઈ કરવા નથી માંગતા. આપણે ખરા-ખોટા વચ્ચેનો તેમજ સત્ય અને જૂઠાણાં વચ્ચેનો ફરક પારખવાનું શીખવા આતુર છીએ, જેથી યહોવાની કૃપા મેળવી શકીએ. (નીતિ. ૨:૩-૬; હિબ્રૂ. ૫:૧૪) યહોવાથી વધારે માણસોનો ડર રાખીશું તો, આપણે સત્યના માર્ગથી દૂર જતા રહીશું. ધ્યાન આપો કે ૧૨ ઇઝરાયેલી જાસૂસો સાથે શું બન્યું હતું. તેઓ વચનના દેશમાં જાસૂસી કરવા ગયા હતા. તેઓમાંથી દસ જાસૂસો કનાનીઓથી એટલા ડરી ગયા કે તેઓનો યહોવા માટેનો પ્રેમ ફિક્કો પડી ગયો. તેઓએ સાથી ઇઝરાયેલીઓને કહ્યું: “આપણે એ લોકો પર ચઢાઈ કરી શકતા નથી, કેમ કે તેઓ આપણા કરતાં વધારે શક્તિશાળી છે.” (ગણ. ૧૩:૨૭-૩૧) મનુષ્યની નજરે જોઈએ તો, કનાનીઓ ખરેખર શક્તિશાળી હતા. પણ લોકો એ વાત ભૂલી ગયા હતા કે યહોવા ઇઝરાયેલીઓના પક્ષમાં છે, એટલે કનાનીઓ તેઓને હરાવી શકતા નથી. w૨૪.૦૭ ૯ ¶૫-૬
ગુરુવાર, સપ્ટેમ્બર ૩
“શું આખી દુનિયાનો ન્યાયાધીશ જે ખરું છે એ જ નહિ કરે?”—ઉત. ૧૮:૨૫.
આપણને સો ટકા ખાતરી છે કે યહોવા લોકોનો ન્યાય કરે છે ત્યારે, હંમેશાં યોગ્ય નિર્ણય લે છે. ઇબ્રાહિમની જેમ આપણે પણ જાણીએ છીએ કે ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ યહોવા બુદ્ધિશાળી અને દયાળુ છે તેમજ જે ખરું હોય એ જ કરે છે. યહોવાએ પોતાના દીકરા ઈસુને પણ એ રીતે ન્યાય કરવાનું શીખવ્યું છે. તેમણે ન્યાય કરવાની બધી જવાબદારી ઈસુને સોંપી છે. (યોહા. ૫:૨૨) યહોવા અને ઈસુ લોકોનાં દિલમાં શું છે એ જોઈ શકે છે, તેઓના વિચારો જાણી શકે છે. (માથ. ૯:૪) એટલે દરેકનો ન્યાય કરતી વખતે તેઓ હંમેશાં ‘એ જ કરશે જે ખરું છે!’ તો ચાલો મનમાં ગાંઠ વાળીએ કે હંમેશાં યહોવા પર અને તેમના નિર્ણયો પર ભરોસો રાખીશું. આપણે સ્વીકારીએ છીએ કે આપણે લોકોનો ન્યાય નથી કરી શકતા, ફક્ત યહોવા કરી શકે છે. (યશા. ૫૫:૮, ૯) એટલે ન્યાય કરવાનું કામ યહોવા અને તેમના દીકરા ઈસુના હાથમાં છોડી દઈએ. આપણા રાજા ઈસુ આબેહૂબ તેમના પિતા જેવા છે. તે પણ સાચો ન્યાય કરશે અને દયા બતાવશે.—યશા. ૧૧:૩, ૪. w૨૪.૦૫ ૭ ¶૧૮-૧૯