બીજો રાજાઓ
૧૭ યહૂદામાં આહાઝ રાજાના શાસનનું ૧૨મું વર્ષ ચાલતું હતું. એ સમયે એલાહનો દીકરો હોશીઆ+ ઇઝરાયેલનો રાજા બન્યો. તેણે સમરૂનમાંથી નવ વર્ષ રાજ કર્યું. ૨ હોશીઆ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ કરતો હતો. પણ એટલી હદે નહિ, જેટલું તેની અગાઉ થઈ ગયેલા ઇઝરાયેલના રાજાઓએ કર્યું હતું. ૩ આશ્શૂરના રાજા શાલ્માનેસેરે તેની સામે લડાઈ કરી.+ હોશીઆ તેનો તાબેદાર થયો અને તેને વેરો ભરવા લાગ્યો.+ ૪ આશ્શૂરના રાજાને ખબર મળી કે હોશીઆએ બળવો પોકાર્યો છે. હોશીઆએ ઇજિપ્તના સો નામના રાજાને સંદેશો મોકલ્યો છે+ અને અગાઉનાં વર્ષોની જેમ આશ્શૂરને વેરો ભર્યો નથી. એટલે આશ્શૂરના રાજાએ તેને પકડીને કેદમાં નાખ્યો.
૫ આશ્શૂરના રાજાએ આખા ઇઝરાયેલ દેશ પર હુમલો કર્યો. તે સમરૂન આવી પહોંચ્યો અને ત્રણ વર્ષ સુધી એને ઘેરી લીધું. ૬ હોશીઆના શાસનના નવમા વર્ષે આશ્શૂરના રાજાએ સમરૂન જીતી લીધું.+ તે ઇઝરાયેલના લોકોને ગુલામ બનાવીને આશ્શૂર લઈ ગયો.+ તેણે તેઓને હલાહમાં, ગોઝાન નદી+ પાસેના હાબોરમાં અને માદીઓનાં શહેરોમાં વસાવ્યા.+
૭ આમ થવાનું કારણ એ કે ઇઝરાયેલીઓએ પોતાના ઈશ્વર યહોવા વિરુદ્ધ પાપ કર્યું હતું, જે તેઓને ઇજિપ્તના રાજા ફારુનના* પંજામાંથી છોડાવીને ત્યાંથી બહાર કાઢી લાવ્યા હતા.+ તેઓએ બીજા દેવોની પૂજા કરી.+ ૮ યહોવાએ જે પ્રજાઓને તેઓની આગળથી હાંકી કાઢી હતી, તેઓના રિવાજો ઇઝરાયેલીઓએ પાળ્યા. સાથે સાથે તેઓ ઇઝરાયેલના રાજાઓએ બનાવેલા રિવાજો પ્રમાણે ચાલ્યા.
૯ ઇઝરાયેલીઓ એવાં કામોમાં ડૂબી ગયાં, જે યહોવાની નજરમાં ખરાબ હતાં. તેઓએ પોતાનાં બધાં શહેરોમાં, ચોકી કરવાના બુરજથી તે કોટવાળા શહેર સુધી ભક્તિ-સ્થળો બાંધ્યાં.*+ ૧૦ દરેક ઊંચા ડુંગર પર અને દરેક ઘટાદાર ઝાડ+ નીચે તેઓએ ભક્તિ-સ્તંભો અને ભક્તિ-થાંભલાઓ+ ઊભા કર્યા. ૧૧ તેઓ બધાં ભક્તિ-સ્થળોએ આગમાં બલિદાનો ચઢાવતા. યહોવાએ ઇઝરાયેલીઓ આગળથી જે પ્રજાઓને હાંકી કાઢીને ગુલામીમાં મોકલી હતી, એ પ્રજાઓ જેવું તેઓએ કર્યું.+ તેઓ દુષ્ટ કામો કરતાં રહ્યાં અને યહોવાને ભારે રોષ ચઢાવ્યો.
૧૨ તેઓ ધિક્કાર ઊપજે એવી મૂર્તિઓની* પૂજા કરતા રહ્યા,+ જેના વિશે યહોવાએ કહ્યું હતું કે “તેઓની ભક્તિ કરશો નહિ!”+ ૧૩ યહોવા પોતાના બધા પ્રબોધકો અને દર્શન જોનારાઓ+ દ્વારા ઇઝરાયેલને અને યહૂદાને ચેતવણી આપતા રહ્યા. તેમણે કહ્યું: “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો!+ તમારા બાપદાદાઓને મેં નિયમો આપ્યા હતા. તમારી પાસે મેં મારા પ્રબોધકોને મોકલ્યા હતા. મારી એ આજ્ઞાઓ અને મારા એ કાયદા-કાનૂન પાળો, જે મેં તેઓને જણાવ્યાં હતાં.” ૧૪ પણ તેઓએ સાંભળ્યું નહિ. તેઓએ પોતાના બાપદાદાઓની જેમ ઈશ્વર યહોવા પર ભરોસો મૂક્યો નહિ અને હઠીલા જ રહ્યા.+ ૧૫ ઇઝરાયેલીઓએ ઈશ્વરના કાયદા-કાનૂન પાળ્યા નહિ અને તેઓના બાપદાદાઓ સાથે ઈશ્વરે કરેલા કરારનો ત્યાગ કર્યો.+ તેમનાં સૂચનો અને ચેતવણીઓ પર ધ્યાન આપ્યું નહિ.+ તેઓ નકામી મૂર્તિઓની પૂજા કરતા રહ્યા+ અને પોતે પણ નકામા બની ગયા.+ યહોવાએ આજ્ઞા આપી હતી કે બીજી પ્રજાઓને પગલે ચાલવું નહિ. તોપણ તેઓ આસપાસની પ્રજાઓ જેવાં કામો કરવાં લાગ્યાં.+
૧૬ તેઓએ પોતાના ઈશ્વર યહોવાની બધી આજ્ઞાઓનો ત્યાગ કર્યો. તેઓએ ધાતુનાં બે વાછરડાં બનાવ્યાં*+ અને ભક્તિ-થાંભલો ઊભો કર્યો.+ આકાશમાં જે કંઈ છે એ બધાને* તેઓ ભજવા લાગ્યા.+ તેઓએ બઆલની પૂજા કરી.+ ૧૭ તેઓએ પોતાનાં દીકરા-દીકરીઓને આગમાં બલિ ચઢાવ્યાં.*+ તેઓ જોષ જોતા+ અને શુકન જોતા. યહોવાની નજરમાં જે કંઈ ખરાબ હતું એ કરવામાં ડૂબેલા રહીને* તેઓએ તેમને ભારે રોષ ચઢાવ્યો.
૧૮ યહોવા ઇઝરાયેલીઓ પર એટલા કોપાયમાન થયા કે તેમણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.+ તેમણે ફક્ત યહૂદા કુળને બચાવી લીધું.
૧૯ યહૂદાએ પણ પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળી નહિ.+ ઇઝરાયેલે જેવા રીતરિવાજો પાળ્યા હતા એવા યહૂદાએ પણ પાળ્યા.+ ૨૦ યહોવાએ ઇઝરાયેલના બધા વંશજોનો ત્યાગ કર્યો. તેમણે તેઓને નીચું જોવડાવ્યું અને લુટારાઓના હાથમાં સોંપી દીધા. આખરે તેમણે પોતાની આગળથી તેઓને હાંકી કાઢ્યા. ૨૧ તેમણે ઇઝરાયેલીઓને દાઉદના ઘરથી અલગ પાડી દીધા. તેઓએ નબાટના દીકરા યરોબઆમને રાજા બનાવ્યો.+ પણ તેણે ઇઝરાયેલીઓને યહોવાના માર્ગથી ભટકાવી દીધા. તેણે તેઓ પાસે મોટું પાપ કરાવ્યું. ૨૨ યરોબઆમે જે પાપ કર્યાં હતાં, એ કરવાનું ઇઝરાયેલીઓએ ચાલુ રાખ્યું.+ તેઓએ એમ કરવાનું છોડ્યું નહિ. ૨૩ એટલે યહોવાએ પોતાના બધા પ્રબોધકો દ્વારા કહ્યું હતું તેમ, તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા.+ ઇઝરાયેલીઓને પોતાના દેશમાંથી ગુલામ તરીકે આશ્શૂર દેશ લઈ જવામાં આવ્યા.+ તેઓ આજ સુધી ત્યાં જ છે.
૨૪ આશ્શૂરના રાજાએ સમરૂનમાં ઇઝરાયેલીઓની જગ્યાએ બાબેલોન, કૂથ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના+ લોકોને વસાવ્યા. તેઓ સમરૂનનાં શહેરો પર કબજો જમાવીને એમાં રહેવા લાગ્યા. ૨૫ શરૂઆતમાં તેઓ રહેવા લાગ્યા ત્યારે યહોવાનો ડર રાખતા* ન હતા. એટલે યહોવાએ તેઓ પાસે સિંહો મોકલ્યા.+ સિંહોએ અમુક લોકોને મારી નાખ્યા. ૨૬ એ વાતની ખબર આશ્શૂરના રાજાને આપવામાં આવી: “તમે જે પ્રજાઓને ગુલામ તરીકે સમરૂનનાં શહેરોમાં વસાવી છે, એ પ્રજાઓ આ દેશના ધર્મને* અને ઈશ્વરને જાણતી નથી. એ ઈશ્વર પ્રજાઓમાં સિંહો મોકલે છે, જે લોકોને મારી નાખે છે. આ દેશના ધર્મ અને ઈશ્વર વિશે એ પ્રજાઓમાંથી કોઈને કંઈ ખબર નથી.”
૨૭ આશ્શૂરના રાજાએ હુકમ કર્યો કે “ગુલામીમાં ગયેલા એક યાજકને પાછો એ દેશમાં લઈ જાઓ. તે ત્યાં રહીને લોકોને એ દેશના ધર્મ અને ઈશ્વર વિશે શીખવે.” ૨૮ સમરૂનમાંથી જેઓને ગુલામીમાં લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંથી એક યાજકને બેથેલ પાછો લાવવામાં આવ્યો.+ તે લોકોને યહોવાનો ડર રાખવાનું* શીખવવા લાગ્યો.+
૨૯ જોકે અલગ અલગ પ્રજાઓએ પોતપોતાના દેવો બનાવ્યા. એ દેવો તેઓએ ભક્તિ-સ્થળોનાં મંદિરોમાં મૂક્યા, જે સમરૂની* લોકોએ બાંધ્યાં હતાં. દરેક પ્રજા જે જે શહેરમાં રહેતી હતી, એમાં તેઓએ એવું કર્યું. ૩૦ એટલે બાબેલોનના માણસોએ સુક્કોથ-બનોથની મૂર્તિ, કૂથના માણસોએ નેર્ગાલની મૂર્તિ અને હમાથના+ માણસોએ અશીમાની મૂર્તિ બનાવી. ૩૧ આવ્વીઓએ નિબ્હાઝની અને તાર્ત્તાકની મૂર્તિઓ બનાવી. સફાર્વાઈમના દેવો+ આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખ હતા. તેઓ આગળ સફાર્વાઈમના લોકો પોતાના દીકરાઓને આગમાં હોમી દેતા. ૩૨ ખરું કે તેઓ યહોવાનો ડર રાખતા, પણ તેઓએ ભક્તિ-સ્થળો માટે સામાન્ય લોકોમાંથી યાજકો પસંદ કર્યા. એ યાજકો ભક્તિ-સ્થળોનાં મંદિરોમાં બધી વિધિઓ કરતા.+ ૩૩ તેઓ યહોવાનો ડર તો રાખતા, પણ ભક્તિ પોતપોતાના દેવોની કરતા. તેઓ જ્યાંથી દેશનિકાલ થયા હતા એ પ્રજાઓનો ધર્મ* પાળતા.+
૩૪ તેઓ આજ સુધી પોતાનો અગાઉનો ધર્મ* પાળે છે. તેઓ યહોવાને ભજતા નથી. તેઓ તેમનાં કાયદા-કાનૂન, ન્યાયચુકાદાઓ, નિયમો અને આજ્ઞાઓ પાળતાં નથી. એ બધાં તો યહોવાએ યાકૂબના દીકરાઓને આપ્યાં હતાં, જેને તેમણે ઇઝરાયેલ નામ આપ્યું હતું.+ ૩૫ યહોવાએ ઇઝરાયેલીઓ સાથે કરાર કર્યો ત્યારે,+ તેમણે આ આજ્ઞા કરી હતી: “તમારે બીજા દેવોથી ડરવું નહિ. તમારે તેઓ આગળ નમવું નહિ કે ભક્તિ કરવી નહિ કે બલિદાનો ચઢાવવા નહિ.+ ૩૬ યહોવા પોતાની અપાર શક્તિ અને પોતાના બળવાન હાથથી તમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે.+ તમારે તેમનો ડર રાખવો,+ તેમની આગળ નમન કરવું અને તેમને બલિદાનો ચઢાવવા. ૩૭ તેમણે તમારા માટે કાયદા-કાનૂન, ન્યાયચુકાદાઓ, નિયમો અને આજ્ઞાઓ લખાવી લીધાં છે.+ તમારે હંમેશાં એ ધ્યાનથી પાળવાં અને બીજા દેવોનો ડર રાખવો નહિ. ૩૮ મેં તમારી સાથે જે કરાર કર્યો છે, એ તમારે ભૂલવો નહિ.+ તમારે બીજા દેવોની બીક રાખવી નહિ. ૩૯ પણ તમારા ઈશ્વર યહોવાનો જ તમારે ડર રાખવો. તમારા બધા દુશ્મનોના હાથમાંથી તે જ તમને બચાવશે.”
૪૦ પણ બીજી પ્રજાઓએ એ માન્યું નહિ. એ લોકો પોતાનો અગાઉનો ધર્મ પાળતા રહ્યા.+ ૪૧ આમ તેઓ યહોવાનો ડર તો રાખતા,+ સાથે સાથે કોતરેલી મૂર્તિઓને પણ પૂજતા. તેઓના દીકરાઓ અને પૌત્રો પણ આજ સુધી પોતાના બાપદાદાઓની જેમ કરે છે.